એઈડ્સ નિર્મુલન માટે રાજ્યમાં નવા પાઇલટ પ્રોજેક્ટની શરૂઆત
સંયુક્ત રાષ્ટ્ર એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એચ.આઇ.વી એઇડ્સ નિયંત્રણ સુદ્ઘઢ કરવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો.
સંયુક્ત રાષ્ટ્ર એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એચ.આઇ.વી એઇડ્સ નિયંત્રણ સુદ્ઘઢ કરવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ યુ.બી.આર.એ.એફનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટનો પ્રારંભ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરાવ્યો હતો.
રાજ્યમાં એચ.આઇ.વી.પીડિત ૧ લાખ ૬૬ હજાર દર્દીઓ હોવા સાથે સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ૨૧ લાખથી વધુ લોકો આ રોગનો ભોગ બન્યા છે. દર વર્ષે સમગ્ર દેશમાં ૭૫ હજારથી વધારે નવા દર્દીઓ ઉમેરાય છે. ત્યારે, ગુજરાતમાં ૧૦,૫૮૯ એચ.આઇ.વી.ના નવા દર્દીઓ દર વર્ષો ઉમેરાય છે. ત્યારે, આ રોગના નિર્મૂલન માટે યુ.બી.આર.એ.એફનો ગાંધીનગરથી શરૂ કરાયેલો પાયલોટ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ નિવડશે. રાજ્યમાં આ પ્રોજેક્ટ બે વર્ષ સુધી અમલમાં રાખ્યા બાદ આ ગુજરાત મોડેલને દેશભરમાં લાગુ કરવામાં આવશે. જેનાથી, એચ.આઇ.વી નિર્મુલન કરવામાં સફળતા મળી શકશે.
એચઆઈવી મુક્તિ માટે ગુજરાત અગ્રેસર રહેશે
વિશ્વ કક્ષાની સાત સંસ્થાઓ અને ગુજરાત સરકાર દ્વારા યુ.બી.આર.એ.એફ.ના પાયલોટ પ્રોજેક્ટ થકી ગુજરાતને એચ.આઇ.વી. મુક્ત બનાવવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે. યુ.બી.આર.એ.એફ પાઈલોટ પ્રોજેક્ટના પ્રારંભ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, જનજાગૃતિ થકી જેમ પોલીયો મુક્ત ભારતનું નિર્માણ થયું છે તે જ રીતે એચ.આઇ.વી. મુકત ભારત નિર્માણમાં પણ ગુજરાત અગ્રીમ ભૂમિકા દાખવશે.
રાજ્યમાં એક લાખથી વધુ એચઆઇવી પોઝીટિવ
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય અને અન્ય રાજયમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગારી અર્થે ગુજરાતમાં આવે છે. જેથી ગુજરાતમાં એક લાખથી વધુ લોકો એચ.આઇ.વી સંભવિત દર્દીઓ હોવાનું માલૂમ પડ્યુ છે. એચ.આઇ.વી. છે કે નહિ તેનો ટેસ્ટ રાજ્યમાં માત્ર ૪ રૂપિયાના ખર્ચેથી થઇ શકે છે તેની વિસ્તૃત સમજ પણ તેમણે આપી હતી.
એઈડ્સ નાથવા સહિયારા પ્રયાસની આવશ્યકતા
જ્યારે, આરોગ્ય કમિશનર જયંતિ રવિએ એચ.આઇ.વી. રોગની આંકડાકીય વિગત આપતાં જણાવ્યું હતું કે, નેશનલ એઇડૂસ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ નેશનલ એઇડૂસ કંટ્રોલ પ્રોગ્રામના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકોને ઝડપી સિધ્ધ કરી શકાશે. યુએનના સંયુક્ત એઇડ્સ પ્રોગ્રામના ભારત ખાતેના ડાયરેક્ટર ડો. બિલાલિ કામરાએ જણાવ્યું હતું કે, આ રોગને નાથવા માટે સહિયારા પ્રયાસ અને લોકજાગૃતિની જરૂર છે. આ પ્રસંગે યુ.બી.આર.એ.એફ.ની એચ.આઇ.વી. અંગેની જાગૃતિ આપતી પ્રેાજેક્ટની આયોજન નીતિની પુસ્તિકાનું વિમોચન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.