ગાંધીનગરમાં શરૂ કરવામાં આવી એક અનોખી સેવા...
ગાંધનગરમાં લોકોની વિશ્વાસ પર એક નવા સમાજસેવાના કામને શરૂ કરવામાં આવ્યો છે. આ કામમાં લોકો પોતાની વધારાની વસ્તુઓને મુકી અને જરૂરીયાતની વસ્તુને લઇ જાય. આ અંગે વધુ વાંચો અહીં
ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર હંમેશા રાજ્ય સરકારના નવા પ્રોજેક્ટના અમલ માટે આગળ રહે છે. ત્યારે ગાંધીનગરમાં આવેલી કેટલીક સામાજીક સંસ્થાઓ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં સેક્ટર-21 રાજશ્રી સિનેમા પાસે એક હેલ્પના બેનર લગાવવામાં આવ્યાં છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 'જરૂર હોય તે લઇ જાવ અને વધારે હોય તો મુકી જાવ...' આ પ્રોજેક્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જો તમારી પાસે કોઇ વસ્તુઓ જેમ કે, વધારાના કપડા, રમકડા, તેમજ અન્ય ચીજ વસ્તુઓ અહી તે બોર્ડની નીચે મુકી જાવા અને જેને એ વસ્તુની જરૂર છે તે એ વસ્તુને ત્યાથી લઈ જાય. નવાઇની વાત એ છે કે આ બોર્ડ પાસે કોઇ સિક્યોરીટી ગાર્ડ કે કોઇનો મોબાઇલ નંબર નથી લખવામાં આવ્યો. કારણ કે આ પ્રોજેક્ટ વિશ્વાસ પર ચાલતો પ્રોજેક્ટ છે અને ઘણા જરૂરિયાત વાળા લોકોને એનો લાભ પણ મળી શકે છે. છેલ્લાં બે દિવસથી શરૂ થયેલી આ સેવામાં અત્યાર સુધી પચાસથી વધારે લોકોએ તેમની પાસે રહેલી વધારાની ચીજ વસ્તુઓ આપી છે. તથા 45 જેટલા લોકોએ તેમની જરૂરિયાત મુજબ વસ્તુઓ લઇ પણ ગયા છે. જેથી કહી શકાય કે શરૂઆત શાનદાર થઇ છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જુનીયર સિટીઝન કાઉન્સીલ સાથે જોડાયેલા દિનેશ દવે આ પ્રોજેક્ટ વિશે વાત કરતા કહે છે કે, અમે વર્ષોથી ગાંધીનગરથી સેવાકીય પ્રવૃતિઓ કરીએ છીએ પણ આ સેવા સાવ અનોખી છે અને તેના કારણે એક નવી શરૂઆત થશે. જ્યારે મહેશ રાઠોડ નામના વ્યક્તિએ કહ્યું કે, મે મારી પાસે રહેલા વધારાના ગરમ કપડા અહીયા મુક્યા હતા જે માત્ર 1 કલાકમાં જ જરૂરિયાત વાળી વ્યક્તિ પાસે પહોંચી ગયા જે સારી બાબત છે. આ પ્રકારનું કામ માત્ર ગાંધીનગરમાં જ નહી પણ અન્ય શહેરોમાં કરવામાં આવે તો ગુજરાતની વધુ એક સારી બાબત બહાર આવી શકે તેમ છે. જો કે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી સંસ્થાના લોકોનું કહેવું છે કે અમે અમારી ઓળખ જાહેર નથી કરવા માંગતા પણ એટલું ઇચ્છીએ છીએ કે અમે લોકો સ્વેચ્છાએ અમારા કામને આગળ વધાવે. કદાચ લાંબા ગાળે ખુબ મોટો ફાયદો થાય તેમ છે.