૩૧ જળાશયો સંપૂર્ણ છલકાયા જયારે ૪૪ જળાશયોમાં ૭૦ ટકાથી વધુ તેમજ ૮૦ જળાશયોમાં ૫૦ ટકા સુધી પાણી
ગુજરાતમાં તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં તા. ૧૪ જુલાઈએ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ કુલ ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૦.૩૭ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ગુજરાતના ૩૧ જળાશયો ૧૦૦ ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયાં છે જયારે ૪૪ જળાશયોમાં ૭૦ ટકાથી વધુ તેમજ ૮૦ જળાશયો ૫૦ ટકા સુધી પાણી ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના ૬૧.૩૫ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે તેમ, સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે.

રાજ્યમાં ૧૦૦ ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાનું ધાતરવાડી, મુંજિયાસર, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, દાહોદનું ઉમરીયા, ગીર સોમનાથનું મચ્છુન્દ્રિ, જૂનાગઢનું ઝાનજેશ્રી, ઉબેન, હસનપુર, હિરણ-૧, મોટા ગુજેરીયા, રાજકોટનું વેરિ, લાલપરી, મોજ અને સોદવદર, સુરેન્દ્રનગરનું મોર્શલ કચ્છનું બેરાછીયા, કંકાવટિ, જાન્ગડિયા ગજાનસર, ગજોડ, કાલાગોગા, ડોન અને ગોઢાતડ, જામગનરનું વઘાડીયા, સપાડા, પૂના, ફૂલઝર-૧ અને રૂપારેલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે તેમ, અહેવાલમાં જણાવાયું છે.
આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૫૮.૪૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો ૩૩.૫૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો ૩૭.૦૯ ટકા, કચ્છના ૨૦ જળાશયો ૬૪.૦૫ ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ-૧૪૧ જળાશયોમાં ૬૧.૦૮ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે તેમ, ફ્લડ કન્ટ્રોલ સેલના અહેવાલમાં વધુમાં જણાવાયું છે.












Click it and Unblock the Notifications
