વડોદરા: કેમિકલ કંપનીમાં ભીષણ આગ, કર્મચારીઓનો આબાદ બચાવ
અમદાવાદ બાદ વડોદરામાં પણ ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. મંગળવારે સાંજે મંજુસર જીઆઇડીસીમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
અમદાવાદ બાદ વડોદરામાં પણ ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. મંગળવારે સાંજે મંજુસર જીઆઇડીસીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે એને કારણે સ્થાનિક લોકોને ત્યાંથી ખસેડવાની જરૂર ઊભી થઇ હતી, 15 કિમી દુરથી પણ આગની જ્વાળા નજરે પડતી હતી. આગને નિયંત્રણમાં લેવા માટે કુલ 12 ફાયર ફાયટર કામે લાગ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં કોઇ વ્યક્તિને હાનિ પહોંચી નથી, પરંતુ લગભગ 10 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એક પ્લાન્ટ અને ગોડાઉન બળીને ખાખ થઇ ગયા હતા.
અચાનક આગ લાગવાને કારણે કંપનીમાં હાજર 70 કર્મચારીઓમાં નાસભાગ થઇ હતી. 7 ફાયર ફાયટરોએ 3 કલાકની મહેનત બાદ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ગોડાઉનમાં મુકેલ કેમિકલના ડ્રમ પણ આગની ઝપટમાં આવી જતાં પ્રચંડ ધડાકા થયા હતા. ઉલ્લેખનીય છે કે, મંગળવારે અમદાવાદમાં જ ગેસ બ્લાસ્ટને કારણે આગ લાગતાં એક જ પરિવારના ચાર સભ્યોનું મૃત્યુ થયું હતું.