Excl : વલસાડે જાળવી પરમ્પરા : મોરારજી ટુ મોદી, 6 લાખ મતો સાથે લીલી ઝંડી!
અમદાવાદ, 17 મે : નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. અપેક્ષા કરતા વધુ સફળતા સાથે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. ભાજપ અને તેના સાથી પક્ષોને 300 કરતા વધુ બેઠકો મળી છે અને ભાજપે એકલા હાથે 282 બેઠકો હાસલ કરી સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. આમ દેશના જનાદેશે સ્પષ્ટ રીતે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવા માટેની લીલી ઝંડી આપી દીધી છે. આમ કહી શકાય કે દેશમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે 282 બેઠકો તરફથી લીલી ઝંડી મળી ગઈ છે, પરંતુ આ તમામ લીલી ઝંડીઓ આપનાર 282 બેઠકોમાં સૌથી મહત્વની બેઠક છે ગુજરાતની વલસાડ કે જેણે 37 વર્ષ અગાઉ મોરારજી દેસાઈથી શરૂ કરેલી પરમ્પરા આ વખતે નરેન્દ્ર મોદી સુધી જાળવી રાખી છે.
વલસાડનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલ મિથકે ભાજપ અને નરેન્દ્ર મોદી બંનેના ધબકાર વધારી દીધા હતાં. આ મિથક એમ કહેતુ હતું કે વલસાડમાંથી જે પક્ષનો વિજય થાય છે, તે જ પક્ષની કેન્દ્રમાં સરકાર રચાય છે. ભાજપ અને મોદીની ચિંતાનું કારણ એ હતું કે વલસાડમાં છેલ્લા બે વખતથી કોંગ્રેસનો કબ્જો હતો, પરંતુ વલસાડે ખોબે-ખોબે મત આપીને ભાજપને ચિંતામુક્ત કરી અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવા માટેની લીલી ઝંડી આપી દીધી.
છેલ્લા 37 વર્ષોનો ઇતિહાસ જોઇએ તો વલસાડમાંથી વિજેતા થયેલ પક્ષની જ કેન્દ્રમાં સરકાર બનતી આવી છે. આવું એક-બે કે ત્રણ ચૂંટણીથી નહીં, પણ 1977માં જ્યારે વલસાડ બેઠક અસ્તિત્વમાં આવી, ત્યારથી લઈ 2009 સુધી એટલે કે છેલ્લી 12 ચૂંટણીઓથી આવુ થતુ આવ્યું છે. 1977માં વલસાડે મોરારજી દેસાઈ તરીકે પ્રથમ ગુજરાતી વડાપ્રધાન બનાવ્યાં, તો હવે આ વખતે વલસાડે નરેન્દ્ર મોદીને 13મી લીલી ઝંડી આપી ત્રીજા ગુજરાતી વડાપ્રધાન બનવાનો માર્ગ ખુલ્લો કર્યો છે.
ચાલો તસવીરો સાથે જોઇએ વલસાડ લોકસભા બેઠકનો ઇતિહાસ અને તેના પરિણામ સાથે જોડાયેલ રસપ્રદ સત્ય :
નાનુ પટેલ-મોરારજી દેસાઈ
વલસાડના વિજેતા પક્ષની કેન્દ્રમાં સરકારનું મિથક 1977થી જોડાયું છે. વલસાડ બેઠક 1977માં જ અસ્તિત્વમાં આવી હતી. લોકસભા ચૂંટણી 1977માં દેશમાં ઇમર્જંસી અને ઇંદિરા ગાંધી તેમજ કોંગ્રેસ વિરોધી લહેર ચાલતી હતી અને આ લહેરના પગલે વલસાડમાં કોંગ્રેસનો પરાજય થયો. આ ચૂંટણીમાં વલસાડે ભારતીય લોકદળના નાનુભાઈ પટેલને વિજય અપાવ્યો અને કેન્દ્રમાં ભારતીય લોકદળની સરકાર બની તથા વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ બન્યાં. મોરારજી દેસાઈ પ્રથમ નિર્વાચિત વડાપ્રધાન હતાં.
ઉત્તમ પટેલ-ઇંદિરા ગાંધી
લોકસભા ચૂંટણી 1980માં વલસાડ બેઠક ઉપરથી પુનઃ કોંગ્રેસ પક્ષ વિજયી બન્યો. આ વખતે કોંગ્રેસના ઉત્તમ પટેલને વલસાડ ચૂંટ્યાં અને આ સાથે જ કેન્દ્રમાં ઇંદિરા ગાંધીના નેતૃત્વ હેઠળ પુનઃ કોંગ્રેસની સરકાર બની. લોકસભા ચૂંટણી 1984-85માં વલસાડે પુનઃ કોંગ્રેસના ઉત્તમભાઈ પટેલને વિજેતા બનાવ્યાં અને કેન્દ્રમાં રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની જ સરકાર બની.
અનુજ પટેલ-વી. પી. સિંહ
લોકસભા ચૂંટણી 1989માં ફરી દેશમાં કોંગ્રેસ વિરોધી લહેર ચાલી અને વલસાડે ભાજપ-જનતા દળ ગઠબંધનના પક્ષમાં ચાલેલી આ લહેરમાં ગોતા લગાવતાં જનતા દળના અનુજ પટેલને સાંસદ ચુંટ્યાં. વલસાડની બેઠક ઉપરથી જનતા દળનો વિજય થતા કેન્દ્રમાં જનતા દળની સરકાર બની અને વી. પી. સિંહ વડાપ્રધાન બન્યાં.
હવે રાવના ઉત્તમ
ઇંદિરા ગાંધીને બે વખત વડાપ્રધાન તરીકે વલસાડ તરફથી લીલી ઝંડી અપાવનાર ઉત્તમ પટેલે લોકસભા ચૂંટણી 1996માં નરસિંહ રાવને વડાપ્રધાન પદ સુધી પહોંચ્યાં. આ ચૂંટણીમાં વલસાડ બેઠક ઉપરથી ઉત્તમ પટેલ વિજયી થયાં અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની.
મણિભાઈએ બાજપાઈની હૅટ્રિક કરાવી
લોકસભા ચૂંટણી 1996માં ભાજપનો જુસ્સો વધી ચુક્યો હતો અને ગુજરાતમાં ભાજપ પ્રત્યે જોરદાર લહેર હતી. તેથી વલસાડમાં ભાજપનો વિજય થયો. ભાજપના મણિભાઈ ચૌધરીના વિજય સાથે જ કેન્દ્રમાં ભાજપની સરકાર બની અને અટલ બિહારી બાજપાઈ પહેલી વાર વડાપ્રધાન બન્યાં. જોકે તેઓ 13 જ દિવસ વડાપ્રધાન રહ્યાં. લોકસભા ચૂંટણી 1998માં પણ વલસાડ બેઠક ઉપરથી મણિભાઈ જીત્યાં અને બાજપાઈ વડાપ્રધાન બન્યાં. આ સરકાર 13 માસ જ ચાલી, તો લોકસભા ચૂંટણી 1999માં ફરી મણિભાઈએ જીતની હૅટ્રિક નોંધાવતા બાજપાઈ માટે પણ ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લેવાનો માર્ગ મોકળો કર્યો.
મનમોહનને તારનાર કિશન
લોકસભા ચૂંટણી 2004માં વલસાડ બેઠકનો જનમત ફરી પલ્ટાયો અને આ વખતે લોકોએ કોંગ્રેસના કિશન પટેલને વિજયી બનાવ્યાં. આ સાથે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની અને ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન બન્યાં. લોકસભા ચૂંટણી 2009માં પણ વલસાડ બેઠક ઉપરથી કિશન પટેલ જ વિજયી રહ્યાં અને કેન્દ્રમાં પણ ફરીથી કોંગ્રેસની સરકાર બની તથા મનમોહન સિંહ જ વડાપ્રધાન બન્યાં.
ખાલપ બન્યા નરેન્દ્ર મોદીના સારથી
વલસાડ બેઠક ઉપરથી ભાજપે ડૉ. કે. સી. પટેલ એટલે કે ડૉ. ખાલપભાઈ છગનભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યાં હતાં, તો કોંગ્રેસ તરફથી છેલ્લી બે ચૂંટણીઓથી સતત જીતતા આવેલા કિશન પટેલને ઉમેદવાર બનાવ્યા હતાં, પરંતુ ડૉ. કે. સી. પટેલે વલસાડમાંથી 2 લાખ 8 હજાર 4 મતોથી જીત મેળવી નરેન્દ્ર મોદીને પીએમ બનવા માટેનો માર્ગ ખુલ્લો કરી દીધો. વલસાડમાં ભાજપને 6 લાખ 17 હજાર 772 મતો મળ્યાં અને વલસાડે આટલા ભારે મતોથી મોદીને પીઠબળ પૂરૂ પાડી દીધું છે. આમ મોરારજી દેસાઈથી શરૂ થયેલી પરમ્પરા નરેન્દ્ર મોદી સુધી જળવાયેલી રહી છે.