ગુજરાત ચૂંટણી 2017: આ બેઠક પરથી જીતનારની બને છે સરકાર
વલસાડની આ સીડ પર જીતવુ ખૂબ જરૂરી છે. આ સીડ પરથી જીતેલા પક્ષની બને છે સરકાર. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે બે તબક્કામાં થનાર છે. 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરના રોજ મતદાન છે. આ વખતે ગુજરાતમાં વિવિધ આંદોલનોને કારણે ભાજપ સરકારને ખાસી મુસીબતોનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત કોંગ્રેસમાં પણ આ વખતે નવા પ્રાણ પુરાયા છે. 182 બેઠકોવાળી વિધાનસભામાં એક બેઠક એવી છે, જે નક્કી કરે છે કે, રાજ્યમાં કોની સરકાર બનશે? એવો વિશ્વાસ છે કે, વલસાડ જિલ્લાની વલસાડ બેઠક પરથી જે પક્ષનો ઉમેદવાર જીતે છે, રાજ્યમાં એ જ પક્ષની સરકાર બને છે.
વર્ષ 1975થી ચાલે છે આ સિલસિલો
વર્ષ 1975થી જ ચૂંટણીના પરિણામો આ અંધવિશ્વાસનું સમર્થન કરી રહ્યાં છે. આટલા વર્ષોથી વલસાડની બેઠક પરથી જે પક્ષનો ઉમેદવાર જીતે એ જ પક્ષની સરકાર રાજ્યમાં બની છે. 1975માં કોંગ્રેસના ઉમેદવાર કેશવ રતનજી પટેલ વલસાડની બેઠક પરથી વિજેતા સાબિત થયા હતા. એ વર્ષે રાજ્યમાં કોંગ્રેસે ભારતીય જનસંઘ સાથે મળીને ગઠબંધનની સરકાર બનાવી હતી. વર્ષ 1980-85માં થયેલ ચૂંટણીમાં કોંગ્રેસના દોલતભાઇ નાથુભાઇ દેસાઇ તથા બરજોરજી કાવાસજી પાર્દીવાલાએ આ બેઠક પર પોતાનો કબજો જમાવ્યો હતો. તેમના કાર્યકાળમાં પણ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની હતી.
દોલતભાઇ દેસાઇ 5 વાર વિજેતા
કોંગ્રેસનો સાથ છોડી ભાજપ સાથે હાથ મિલાવનાર દોલતભાઇ દેસાઇ વર્ષ 1990માં પહેલીવાર ભાજપની ટિકિટ સાથે ચૂંટણી લડ્યા હતા. એ વર્ષે ભાજપે જનતા દળ સાથે મળીને ગુજરાતમાં સરકાર બનાવી હતી. વર્ષ 1995માં દોલતભાઇએ આ બેઠક પરથી જીત મેળવી હતી અને પહેલીવાર ભાજપે કેશુભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં સરકાર બનાવી હતી. વર્ષ 1998માં દોલતભાઇ દેસાઇએ વલસાડ બેઠક પરથી સતત ત્રીજીવાર જીત મેળવી અને ફરી એકવાર રાજ્યમાં કેશુભાઇના નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર બની.
વર્ષ 2012માં ભરતભાઇ પટેલને મળી ટિકિટ
વર્ષ 2002માં દોલતભાઇ દેસાઇએ ફરી વલસાડ બેઠક પર જીત મેળવી અને ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવી. એ જ રીતે વર્ષ 2007માં પણ દોલતભાઇ 5મી વાર આ બેઠક પરથી જીત્યા હતા. પરંતુ વર્ષ 2012ની ચૂંટણીમાં દોલતભાઇ દેસાઇની જગ્યાએ ભરતભાઇ પટેલને ટિકિટ આપવામાં આવી. ભરતભાઇ પટેલ ભારે મત સાથે આ બેઠક પર વિજેતા સાબિત થયા અને રાજ્યમાં ભાજપનો વિજયરથ આગળ વધ્યો. આથી જ હવે કેટલાક લોકોને એવો વિશ્વાસ બેસી ગયો છે કે, જે પક્ષનો ઉમેદવાર વલસાડથી જીતે છે, એ જ પક્ષ સત્તામાં આવે છે.
ચૂંટણી સમીકરણો
આ વખતના રાજ્યના ચૂંટણી સમીકરણો ઘણા અલગ છે. રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનને કારણે અનેક વિવાદો થઇ રહ્યાં છે. રાજ્યના યુવા અને સશક્ત નેતા ગણાતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે, આનો કેટલીક જગ્યાએ વિરોધ પણ થયો છે. કોંગ્રેસે પાટીદારોની માંગણીઓ સ્વીકારીને પાસ નેતાઓ અને હાર્દિક પટેલને પણ પોતાની તરફ નરમ કર્યા છે અને હવે તેઓ દલિત નેતા જીજ્ઞેશ મેવાણીને પોતાની તરફ વાળવાના પ્રયાસોમાં છે. તો વળી કેટલાક પાસના નેતાઓએ ભાજપનો ભગવો ધારણ કર્યો છે, આ મુદ્દે પણ નાના-મોટા અંશે વિરોધ થયો છે. આમ ગુજરાતની પ્રજા આ વખતે ચૂંટણી પહેલાં વિવિધ જૂથોમાં વહેંચાયેલી જોવા મળે છે. આથી જનતા છેલ્લે કોને બહુમત આપે છે, એ જોવું રહ્યું.