હવે અમદાવાદથી ઉદયપુર સીધી વંદે ભારત ટ્રેન મળશે, જાણી લો સમય
અમદાવાદ અને ઉદયપુર વચ્ચે મુસાફરી કરતા પ્રવાસીઓ માટે ખુશખબર છે, કારણ કે રેલવે મંત્રાલયે આ રૂટ પર નવી વંદે ભારત ટ્રેન દોડાવવા માટે લીલી ઝંડી આપી દીધી છે.
હવે અમદાવાદના અસારવા સ્ટેશનથી ઉદયપુર સુધીનું અંતર ખૂબ જ ઓછા સમયમાં કાપી શકાશે, જેનાથી બંને રાજ્યો વચ્ચેની કનેક્ટિવિટીમાં મોટો સુધારો જોવા મળશે અને સમય પણ બચશે.

દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતને જોડતી આ હાઈસ્પીડ ટ્રેન સેવાની સત્તાવાર શરૂઆતની તારીખ હજુ નક્કી થઈ નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
નવી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 26963/26964) અઠવાડિયાના છ દિવસ (મંગળવાર સિવાય) ચાલશે. આ ટ્રેનનું મુખ્ય મેઈન્ટેનન્સ ઉદયપુર ખાતે કરવામાં આવશે, જ્યાં એક સ્પેશિયલ રેક ફાળવવામાં આવી છે.
ઉદયપુરથી અસારવા (26963) ટ્રેન સવારે 06:10 વાગ્યે ઉપડશે અને જાવર, ડુંગરપુર તેમજ હિંમતનગર થઈને સવારે 10:25 વાગ્યે અમદાવાદના અસારવા સ્ટેશને પહોંચશે, જે પ્રવાસીઓ માટે અનુકૂળ રહેશે.
પરતી મુસાફરીમાં અસારવાથી ઉદયપુર (26964) ટ્રેન સાંજે 17:45 વાગ્યે ઉપડશે. હિંમતનગર અને ડુંગરપુર જેવા સ્ટેશનો પર સ્ટોપેજ આપીને આ ટ્રેન રાત્રે 22:00 વાગ્યે ઉદયપુર શહેર પહોંચશે.
આ ટ્રેન શરૂ થવાથી પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ મળશે, ખાસ કરીને ઉદયપુર જતા ગુજરાતી પર્યટકો માટે આ મુસાફરી લક્ઝુરિયસ અને સુવિધાજનક બની રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.
કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશનને કારણે અત્યારે અસારવા મુખ્ય કેન્દ્ર બન્યું છે. દરમિયાન, સ્થાનિક મુસાફરો દ્વારા આ ટ્રેન સેવાને સુરત સુધી લંબાવવાની માંગ પણ જોર પકડી રહી છે.












Click it and Unblock the Notifications
