વિકાસ જેવા નાના મુદ્દાને દેશની સુરક્ષા જેવી મોટી સમસ્યા સાથે ના જોડોઃ સીએમ રૂપાણી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકસભા ચૂંટણી વિશે મોટુ નિવેદન આપ્યુ છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકસભા ચૂંટણી વિશે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે ગુજરાતના આણંદમાં મંગળવારે એક રેલીને સંબોધિત કરી અને મતદારોને અપીલ કરી કે તે પોતાનો મત આપતી વખતે નાગરિકોને મળતી સુવિધાઓ અને વિકાસ જેવા નાના મુદ્દાઓને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મોટા મુદ્દાઓ સાથે ના જોડે. આ સાથે તેમણે કોંગ્રેસ પર હુમલો કરીને તેને કાળો પંજો અને ડરપોક ગણાવ્યા. આટલુ જ નહિ સીએમ રૂપાણીએ આખા વિપક્ષને ચોરોની જમાત ગણાવી.
‘લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય હિત ધ્યાનમાં રાખો'
આણંદમાં એક જનસભાને સંબોધિત કરતા વિજય રૂપાણીએ કહ્યુ કે આ ચૂંટણી એકદમ અલગ છે. દરેક ચૂંટણીનું અલગ મહત્વ હોય છે. જો આ નગરપાલિકાની ચૂંટણી હોત તો ગટર, રસ્તા, પાણી, વીજળી અને સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર ચર્ચા થતી. જો આ વિધાનસભા ચૂંટણી હોત તો રાજ્યમાં વિકાસના કાર્યો મુદ્દે ચર્ચા થતી પરંતુ લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય હિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. જો આપણે નાના મુદ્દાઓને સામે લાવીશુ તો આપણે દેશના કલ્યાણ માટે મોટા મુદ્દાઓને નજરઅંદાજ કરીશુ.
‘કોંગ્રેસ ડરપોક પાર્ટી છે'
ગુજરાતના સીએમ રૂપાણીએ કોંગ્રેસને ડરપોક પાર્ટી ગણાવી. તેમણે કહ્યુ કે તેનામાં પાકિસ્તાનને પાઠ ભણાવવાની હિંમત નથી. તેમણે 2008 મુંબઈ આતંકી હુમલાના સંદર્ભમાં આ વાત કહી. તેમણે દેશના પૂર્વ પીએમ મનમોહન સિંહની મજાક ઉડાવતા કહ્યુ કે જે સ્પીડથી તે મુંબઈ હુમલાની વાત કરી રહ્યા હતા તેમનુ વાક્ય પૂરુ થતા પહેલા વધુ એક હુમલો થઈ જતો હતો. તે કાયર હતા. તેમણે ભાજપ સરકારમાં સીમા પર સર્જીકલ સ્ટ્રાઈક અને પુલવામા આતંકી હુમલામાં 40 સીઆરપીએફ જવાનોની મોત બાદ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈકની વાત કરતી વખતે આ વાતો કરી.
મહાગઠબંધનને ચોરોની જમાત કહી
ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ મહાગઠબંધનને ચોરોની જમાત ગણાવી. કોલકત્તામાં ચોરોની જમાત એકબીજાનો હાથ ઉઠાવવામાં મદદ કરે છે. તે મિલાવટ, મહાગઠબંધન, ઠગ ગઠબંધન, અલી બાબા ચાલીસ ચોરના રૂપમાં એક સાથે આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષોમાં મોદી સરકારે આમની દુકાનો બંધ કરી દીધી છે. ભલે તે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ હોય કે તેમના પિતા મુલાયમ સિંહ યાદવ, મમતા બેનર્જી, માયાવતી, લાલુ પ્રસાદ યાદવ કે રાહુલ ગાંધી હોય. આ બધા લોકો મોદી હટાવોનો વિલાપ કરી રહ્યા છે જ્યારે પીએમ મોદી ભ્રષ્ટાચાર હટાવો, ગરીબી હટાવોની વાત કરી રહ્યા છે. આ દેશના લોકોએ નક્કી કરવાનું છે કે તે કોને હટાવવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 26 લોકસભા સીટો છે અને અહીં 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે.