મુખ્યમંત્રી રૂપાણીએ પંચમહાલથી રાજ્યવ્યાપી ગુણોત્સવનો કરાવ્યો પ્રારંભ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આદિજાતિ જિલ્લા પંચમહાલના ગોવિંદી ગામની પ્રાથમિક શાળાથી રાજ્યવ્યાપી ગુણોત્સવનો પ્રારંભ.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આદિજાતિ જિલ્લા પંચમહાલના ગોવિંદી ગામની પ્રાથમિક શાળાથી રાજ્યવ્યાપી ગુણોત્સવનો પ્રારંભ કરાવતાં આગામી પાંચ વર્ષમાં રાજ્યની બધી જ પ્રાથમિક શાળાઓમાં વર્ચ્યુઅલ કલાસરૂમ શરૂ કરવાની નેમ વ્યકત કરી છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, હવેના યુગમાં પરંપરાગત અને બીબાઢાળ શિક્ષણ પ્રણાલિના સ્થાને સમયાનુકુલ પરિવર્તન મુજબ બાળકોને વર્ચ્યુઅલ સ્માર્ટ કલાસ દ્વારા બ્લેક બોર્ડના સ્થાને પ્રોજેકશન અને પાટી-પેનના સ્થાને પામ ટોપ આધારિત શિક્ષણ દ્વારા આનંદમય શિક્ષણ આપવું એ સમયની માંગ છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, જ્ઞાનકૂંજ પ્રોજેકટ અન્વયે ગત વર્ષે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ૪ હજાર વર્ગખંડો સ્ર્માટ કલાસ બન્યા છે. આ વર્ષે વધુ ૪ હજાર વર્ગખંડો સ્માર્ટ કલાસ બનાવવા છે.
વિજયભાઇ રૂપાણીએ ગુણોત્સવ અભિયાન તહેત ગોવિંદી પ્રાથમિક શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓની ગણન, લેખન અને વાંચન સજ્જતા ચકાસી હતી. તેમણે ઓએમઆર કસોટીના આધારે બીજા ધોરણથી આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવિણતાની ઉંડાણપૂર્વક ચકાસણી કરી હતી. શાળાની ભૌતિક સુવિધાઓ અને શાળા પર્યાવરણનું નિરીક્ષણ કર્યું હતું અને શાળા પ્રબંધન સમિતિના સદસ્યો સાથે શિક્ષણની ગુણવત્તાનો વિમર્શ કર્યો હતો.
સમાજના તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બને, છેવાડાના પરિવારો અને ગામડાના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણની સુવિધા મળે અને એ રીતે સો ટકા સાક્ષરતા સિધ્ધ કરવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ છેલ્લા ૧૫ વર્ષર્થી ચાલતા શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવના સકારાત્મક પરિણામોની જાણકારી આપતાં જણાવ્યું કે તેના પરિણામે નામાંકન ૯૯ ટકાના દરે પહોંચ્યુ છે. ડ્રોપ આઉટ રેટ ૩૦ ટકાથી ઘટીને ૧.૬૦ ટકા જેટલા નિમ્નતમ સ્તરે પહોંચાડી શકાયો છે. સાક્ષરતાનો દર ૫૦ ટકાથી વધીને ૭૪ ટકા થયો છે. રાજ્ય સરકાર કે.જી. થી પી.જી. સુધીના શિક્ષણની કાળજી લઇને વિશ્વસ્તરના વિદ્યાર્થીઓનું ઘડતર કરવા વાર્ષિક રૂા.૨૫ હજાર કરોડનો ખર્ચ કરે છે.
૨૦૦૯માં શરૂ કરાયેલા ગુણોત્સવથી શાળાની શૈક્ષણિક શ્રેણીઓનું સતત સંવર્ધન થયું છે એવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુણોત્સવ શરૂ કરાયો ત્યારે રાજ્યમાં એ પ્લસ શ્રેણીની માત્ર ૦૫ શાળાઓ હતી જે આજે વધીને ૨૧૧૭ થઇ છે. એ શ્રેણીની શાળાઓ ૨૬૫થી વધીને ૧૭૬૫૩ અને બી શ્રેણીની શાળાઓ ૩૮૨૩થી વધીને ૧૨૫૫૬ થઇ છે. અગાઉ ૧૨૮૮૩ શાળાઓ સી ગ્રેડમાં હતી જેની સંખ્યા ઘટીને માત્ર ૧૬૧૩ અને ડી શ્રેણીની શાળાઓ ૧૪૫૮૨થી ઘટીને માત્ર ૩૦૦ થઇ ગઇ છે. આ આંકડા ગુજરાતના ગુણોત્સવની શિક્ષણ ગુણવત્તા સુધારણા અભિયાનની સફળતાના માપદંડ છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય યોજના હેઠળ સારવારનો લાભ મેળવીને તંદુરસ્તી અને આરોગ્યને પામેલા બાળકોની સાફલ્ય ગાથાનું વિમોચન કર્યું હતું. સ્વચ્છતાગ્રહી વિદ્યાર્થીઓને આજનુ ગુલાભ સન્માન આપ્યુ હતું. અને રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો પ્રદાન કર્યા હતા.












Click it and Unblock the Notifications
