ગુજરાતમાં ટીચર્સ ડે પર આનંદીબેન પટેલે શિક્ષકોને આપ્યું હોમવર્ક
ગાંધીનગર, 5 સપ્ટેમ્બર : આજે શિક્ષક દિવસના પ્રસંગે શિક્ષક રહી ચૂકેલા ગુજરાતના મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શિક્ષકોને જ હોમવર્ક આપી દીધું હતું.
આ પ્રસંગે સંબોધન કરતા આનંદીબેને કહ્યું કે હું શિક્ષકમાંથી સીએમ બની છું, એટલે ઘરકામ તો જરૂરથી આપીશ. તેમણે આ વર્ષે અવોર્ડ મેળવેલા પ્રાથમિક શાળાના શિક્ષકોને એક એક આંગણવાડી જ્યારે માધ્યમિક શાળાના સમ્માનિત શિક્ષકોને પ્રાથમિક શાળા દત્તક લઈ તેને ઉત્તમ બનાવવાની અપીલ કરી.
મુખ્યમંત્રીએ મહિલા શિક્ષકો માટે ખાસ કહ્યું કે મહિલા શિક્ષકોએ ઘર, પરિવાર, બાળકો અને વડીલોની જવાબદારી સારી રીતે નિભાવવાની છે, આ સાથે જ તેમણે શાળામાં પણ નિયમિતતા જાળવાવની રહેશે.
મહાત્મા મંદિર ખાતે આયોજીત સમારોહમાં રાજ્યપાલ ઓપી. કોહલી, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિતના શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ શિક્ષકોને સંબોધન કરતા કહ્યું કે, શિક્ષકોએ આંખ અને કાન ખૂલ્લા રાખીને યોગ્ય રીતે તેમની જવાબદારી નિભાવવાની રહેશે.
શિક્ષક દિવસ સમારોહ પ્રસંગે મહાત્મા મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે કાર્યક્રમમાં બાળકો અને હાજર રહેલા શિક્ષકોને પ્રાસંગિક સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાજ્યના સર્વોત્તમ શિક્ષકોને સમ્માનિત કર્યા હતા.