આશા પટેલ લોકસભામાં ભાજપના ઉમેદવાર બનશે!
ગુજરાત વિધાનસભા ફરીથી એક વખત ખંડીત થઇ છે. ચૂંટણી નજીક આવતાં જ રાજકીય નેતાઓની આયારામ ગયારામ પ્રક્રિયા ફરીથી શરૂ થઇ ગઇ છે.
ગુજરાત વિધાનસભા ફરીથી એક વખત ખંડીત થઇ છે. ચૂંટણી નજીક આવતાં જ રાજકીય નેતાઓની આયારામ ગયારામ પ્રક્રિયા ફરીથી શરૂ થઇ ગઇ છે. આ વખતે ઉંઝા બેઠકના ધારાસભ્ય આશા પટેલે કોંગ્રેસને રામ રામ કરી દીધા છે. સાથે સાથે તેમણે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધુ છે. આશા પટેલે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતા નારાયણ પટેલને પરાજ્ય આપ્યો હતો.
કોંગ્રેસથી નારાજ કે ભાજપથી પ્રભાવિત
આશા પટેલ કૉંગ્રેસની નેતાગીરીથી નારાજ હોવાનું જણાવી રહ્યા છે. પરંતું, ક્યાંકને ક્યાંક તેમણે જે રીતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પક્ષની નેતાગીરી પર આક્ષેપ કર્યા છે. ત્યારે, લાગી રહ્યું છેકે, આશા પટેલ પક્ષથી નારાજ ઓછા અને ભાજપથી પ્રભાવિત વધુ થયા હોઇ શકે છે. ભાજપ પોતાની શૈલી પ્રમાણે ચૂંટણી નજીક આવતાંની સાથે જ વિપક્ષના નેતાઓને તોડી જોડીને પોતાની સાથે ભેળવવાનું કામ કરે છે. આ શૈલી પ્રમાણે જ અગાઉ કુવરજી બાવળીયા જોડાઇ ચુક્યા છે. કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ભાજપ સાથે જોડાઇ ચુક્યા છે. ત્યારે, કોંગ્રેસમાં હજુ પણ કેટલાક ધારાસભ્યો પક્ષ સાથે છેડો ફાડે તો નવાઇ નહીં.
મહેસાણાથી નીતિન પટેલને મળી શકે છે ટિકિટ
મળતી માહિતી પ્રમાણે મહેસાણા લોકસભા બેઠક પર વર્તમાનમાં જયશ્રી પટેલ સાંસદ છે. ત્યારે, આગામી લોકસભા ચૂંટણીમાં તેમની ટિકિટ કપાવાની પુરી સંભાવના છે.આ બેઠક પર વર્તમાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મેદાનમાં ઉતારવાની પુરી શક્યતા છે. જેના કારણે, નીતિન પટેલે પોતાનો માર્ગ મોકળો કરવા માટે પ્રથમ પુર્વ સાંસદ જીવા પટેલનો ભાજપ પ્રવેશ કરાવ્યો. ત્યારે, હવે મહેસાણાની એકમાત્ર કોંગ્રેસની બેઠક ઉંઝાને પોતાની સાથે ભેળવી દેવાનો પેંતરો રચ્યો છે. માહિતી પ્રમાણે નીતિન પટેલને રાજ્યના રાજકારણથી દુર કેન્દ્રના રાજકારણમાં લઇ જવાનો ભાજપ પ્રયાસ કરી રહ્યુ છે. આ કારણે, તેમને મહેસાણા લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવાની સંભાવના પ્રબળ છે.
ઉંઝા માર્કેટ યાર્ડની ચૂંટણી ખુબ રસાકસીપુર્ણ અને મહત્વની માનવામાં આવે છે. ત્યારે, આ ચૂંટણી પહેલાં તેમનો તખ્તાપલટ નવા સમિકરણ બનાવી શકે છે. એક માહિતી પ્રમાણે મહેસાણા લોકસભાની ટિકિટ પણ તેમને આપવામાં આવે તો નવાઇ નહી.જો, લોકસભામાં ઉમેદવાર ન બનાવવામાં આવે તો, ઉંઝા બેઠક પરથી ફરીથી ભાજપ મેદાનમાં ઉતારી શકે છે. કારણ કે, નારાયણ પટેલ બાદ ઉંઝામાં ભાજપ પાસે મજબુત ઉમેદવારની ઉણપ હતી. જે, હવે આશા પટેલના આવવાથી પુરાઇ શકે છે.
પક્ષ પલટાનો ફાયદો મળશે?
હવે, આ આયારામ ગયારામનો ફાયદો કોને થાય છે. આશા પટેલ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખે છે કે, અન્ય પક્ષ પલટો કરનાર નેતાઓની માફક તેમનું રાજકીય પુર્ણ વિરામ મુકાઇ જાય છે તે જોવુ રહ્યું.