યોગ દિવસ: ‘માનવતા માટે યોગ’ થીમ પર સમગ્ર વિશ્વ બન્યુ યોગમય
યોગ દિવસ: ‘માનવતા માટે યોગ’ થીમ પર સમગ્ર વિશ્વ બન્યુ યોગમય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં યુનાઈટેડ નેશન્સની મહાસભામાં ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો અને મહાસભાએ દર વર્ષે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની ઘોષણા કરી હતી.
દર વર્ષે અલગ અલગ થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 'માનવતા માટે યોગ' (Yoga for Humanity)ની થીમ પર ઉજવશે. વર્ષ ૨૦૧૫માં 'સદભાવ અને શાંતિ માટે યોગ', વર્ષ ૨૦૧૬માં 'કનેક્ટ ધ યુથ’, વર્ષ ૨૦૧૭માં 'સ્વાસ્થ્ય માટે યોગ’, વર્ષ ૨૦૧૮માં 'શાંતિ માટે યોગ’, વર્ષ ૨૦૧૯માં 'કલાઈમેટ એક્શન’, વર્ષ ૨૦૨૦માં 'યોગ એટ હોમ-યોગ વિથ ફેમિલી’, વર્ષ ૨૦૨૧માં 'યોગ ફોર વેલબીઈંગ’ જેવી વિવિધ થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આખું વિશ્વ વિશાળ જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું છે ત્યારે ગુજરાતના નાગરિકો 'યોગમય ગુજરાત' અભિયાનમાં સહભાગી થશે.
રાજ્યના દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા સાથો સાથ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, આરોગ્ય કેન્દ્રો પોલીસ હેડ ક્વાર્ટર, રાજ્યની જેલો તથા તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે.
રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળો જેવા કે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતના ખૂણે ખૂણે યોગનો પ્રચાર-પ્રસાર થાય તે માટે ચલાવવામાં આવી રહેલાં 'યોગમય ગુજરાત' અભિયાનને વધુ સફળ બનાવવા ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં ૭૫૦ થી વધુ યોગ કોચ અને ૬૦,૦૦૦ થી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત રાજ્યભરમાં ૫૦૦૦ થી વધુ યોગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં યોગનો વધુને વધુ પ્રચાર-પ્રસાર થાય, યોગની પ્રવૃત્તિઓ વધુ વેગવંતી બને અને સ્વસ્થ ગુજરાત થકી સ્વસ્થ ભારત બને તે માટે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ અંતર્ગત યોગ બોર્ડની રચના કરવામાં આવી હતી. આ બોર્ડનો હેતુ રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા તથા લોકોમાં યોગ પ્રત્યે જાગૃતતા ફેલાવવાનો છે.
સમગ્ર વિશ્વ યોગમય બની રહ્યું છે જેનો સંપૂર્ણ શ્રેય ભારતને જાય છે. યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવા દેશના આધ્યાત્મિક યોગ ગુરુઓની મહત્વની ભૂમિકા રહી છે. આઝાદીની લડત દરમિયાન મહર્ષિ અરવિંદ અને સ્વામી વિવેકાનંદે લોકોને આધ્યાત્મ અને યોગના માધ્યમથી વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો હતો. આજે વિશ્વના તમામ દેશોની ભાગીદારીથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભવિષ્યમાં યોગ વૈશ્વિક સમરસતા, શાંતિ અને સૌહાર્દનું મહત્વનું માધ્યમ બનશે.