કેરળમાં નિપાહ વાયરસને કારણે 12 વર્ષીય બાળકનું મોત, કેન્દ્ર સરકારે તાત્કાલિક NCDCની ટીમ મોકલી
દેશ પહેલેથી જ કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યો છે, જેના કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નિપાહ વાયરસે પણ ભારતમાં દસ્તક દીધી છે. કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસનો એક કેસ નોંધાયો છે.
નવી દિલ્હી : દેશ પહેલેથી જ કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યો છે, જેના કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ વચ્ચે નિપાહ વાયરસે પણ ભારતમાં દસ્તક દીધી છે. કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસનો એક કેસ નોંધાયો છે. નિપાહ વાઇરસનો કેસ નોંધાયા બાદ કેન્દ્ર સરકાર વતી નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલની ટીમને આ બાબતે ટેકનિકલ મદદ માટે મોકલવામાં આવી છે. નોંધનીય છે કે, કેરળમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.
મળતી માહિતી મુજબ 12 વર્ષના છોકરામાં નિપાહ વાયરસ મળી આવ્યો હતો, જે કેરળના કોઝિકોડમાં હોસ્પિટલમાં દાખલ હતો. બાળકની અંદર નિપાહ વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. આ બાળકનું રવિવારની સવારે મોત થયું હતું. મળતી માહિતી મુજબ બાળક ચુલૂરમાં ચાટમંગલમ પંચાયતનો રહેવાસી હતો. 1 સપ્ટેમ્બરના રોજ આ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. તેનું સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીમાં તપાસ માટે મોકલવામાં આવ્યો હતો, જ્યાં તે નિપાહ પોઝિટિવ આવ્યો હતો.
આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે, જે લોકો બાળકના સંપર્કમાં આવ્યા હતા, તેમની પ્રાથમિક યાદી તૈયાર કરવામાં આવી છે, તેમને નિપાહના લક્ષણો મળ્યા નથી. આ બાબત બાદ રાજ્ય સરકારે ઉચ્ચસ્તરીય બેઠક યોજી છે, જેમાં શનિવારના રોજ આરોગ્ય અધિકારીઓ ભાગ લીધો હતો. પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે, એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, અમારી પાસે વર્ષ 2018નો અનુભવ છે, અનિશ્ચિતતાનું કોઈ કારણ નથી, અમે મોડી રાત્રે આરોગ્ય મંત્રી સાથે બેઠક કરી હતી અને જરૂરી બાબતો પર ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં કોચીમાં નિપાહ વાયરસનો એક કેસ નોંધાયો હતો. વર્ષ 2018માં કોઝીકોડ અને મલપ્પુરમમાં નિપાહ વાયરસને કારણે 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા.