ઓરિસ્સામાં થયેલી અથડામણમાં 14 નક્સલવાદીઓ માર્યા ગયા
મલ્કાનગિરી, 14 સપ્ટેમ્બર : ઓરિસ્સાના મલ્કાનગિરી જિલ્લામાં શનિવારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણ અને ગોળીબારમાં 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ ઉપરાંત અનેક નક્સલવાદીઓ ઘાયલ થયા છે. આ નક્સલવાદીઓ છત્તીસગઢના સુકમા જિલ્લાને પાર કરીને આવ્યા હતા.
પોલીસે જ્યારે તેમને ઘેરી લીધા ત્યારે તેઓ પશ્ચિમી મલ્કાનગિરીના પોડિયામાં કેંપ લગાવીને બેઠા હતા. જંગલમાં થયેલી અથડામણમાં અનેક મીનિટો સુધી બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો હતો. આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક અખિલેશ્વર સિંહના નેતૃત્વમાં પોલીસની ટીમના જિલ્લા સ્વયંસેવી દળની સાથે જંગલમાં છાપો માર્યો હતો.
નક્સલવાદીઓ દ્વારા પોલીસ દળ પર હુમલો કરવામાં આવ્યો તે પછી પોલીસે પણ જવાબમાં ગોળીબારી કરી હતી. આ અંગે પોલીસ મહાનિર્દેશક સૌમેંદ્ર પ્રિયદર્શીએ જણાવ્યું કે "ગોળીબારમાં 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે અને હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે." ભુવનેશ્વરથી 600 કિલોમીટર દૂર સ્થિત મલ્કાનગિરી વિસ્તારને નક્સલવાદીઓનો ગઢ માનવામાં આવે છે.