આસામમાં પૂર : 21 જિલ્લાઓમાં 3.63 લાખ લોકો અસરગ્રસ્ત
આસામમાં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વણસી છે. ફ્લડ રિપોર્ટિંગ અને ઇન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમના રિપોર્ટ અનુસાર 21 જિલ્લાના 950થી વધુ ગામો પૂરથી સંપૂર્ણપણે પ્રભાવિત થયા છે.
ગુવાહાટી : આસામમાં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વણસી છે. ફ્લડ રિપોર્ટિંગ અને ઇન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમના રિપોર્ટ અનુસાર 21 જિલ્લાના 950થી વધુ ગામો પૂરથી સંપૂર્ણપણે પ્રભાવિત થયા છે. આસામમાં પૂર અને વરસાદને કારણે 3,63,135 લોકો પ્રભાવિત થયા છે. રાજ્યએ 30 ઓગસ્ટ સુધી 44 રાહત કેમ્પ ખોલ્યા છે. જ્યાં પૂર પીડિતો આરામથી રહી શકે છે. પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો આસામનો લખીમપુર છે. જ્યાં 1.3 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે.
બીજો સૌથી વધુ પ્રભાવિત જિલ્લો માજુલી છે, જ્યાં 65 હજાર લોકો પીડિત છે. ત્રીજો જિલ્લો દારંગ છે, જ્યાં લગભગ 41 હજાર લોકો પૂરથી પ્રભાવિત છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ શક્ય મદદની ખાતરી આપી છે.
હેમંત બિસ્વા સરમાએ ટ્વિટ કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજેપૂરની સ્થિતિ જાણવા માટે ફોન કર્યો હતો અને આસામને તેનો સામનો કરવા માટે તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. ડેઇલી બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, આસામમાં પૂરની સ્થિતિ સોમવારના રોજ એટલે કે 30 ઓગસ્ટના રોજ ફરી કથળી હતી. જેમાં 17 જિલ્લાઓમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, બારપેટા જિલ્લાના ચાંગા અને મોરીગાંવના માયોંગમાં એક-એક બાળક પૂરના પાણીમાં ડૂબી ગયા છે.
આસામમાં પૂરથી પ્રભાવિત જિલ્લાઓમાં બારપેટા, વિશ્વનાથ, કચર, ચિરાંગ, દારંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રુગઢ, ગોલાઘાટ, જોરહાટ, કામરૂપ, પશ્ચિમ કાર્બી આંગલોંગ, લખીમપુર, માજુલી, મોરીગાંવ, નાગાંવ, નલબારી, શિવસાગર, સોનીતપુર, દક્ષિણ સલમારા અને તિનસુકિયાનો સમાવેશ થાય છે.
રવિવાર સુધી આસામના 14 જિલ્લાઓમાં 2.58 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા હતા. ASDMA જણાવ્યું છે કે, અત્યારે 950 ગામો પાણીમાં છે અને સમગ્ર આસામમાં 30,333.36 હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયું છે.
આસામના 10 જિલ્લાઓમાં 44 રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં 321 બાળકો સહિત 1,619 લોકો આશ્રય લઈ રહ્યા છે. આસામમાં અત્યાર સુધીમાં 621.34 ક્વિન્ટલ ચોખા, કઠોળ અને મીઠું, 578.82 લિટર સરસવનું તેલ, 100 ક્વિન્ટલ પશુ આહાર અને અન્ય પૂર રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે.