ફરીદાબાદમાં હોસ્પિટલની ગટર સાફ કરવા ઉતરેલા 4 સફાઈ કામદારોના મોત!
ફરીદાબાદથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ફરીદાબાદના સેક્ટર 16 મોરિન્ગો ક્યુઆરજી હોસ્પિટલની ગટરની ટાંકી સાફ કરતી વખતે ચાર સફાઈ કામદારોનું ગૂંગળામણથી મોત થયા હોવાના અહેવાલ છે.
ફરીદાબાદ, 05 ઓક્ટોબર : ફરીદાબાદથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ફરીદાબાદના સેક્ટર 16 મોરિન્ગો ક્યુઆરજી હોસ્પિટલની ગટરની ટાંકી સાફ કરતી વખતે ચાર સફાઈ કામદારોનું ગૂંગળામણથી મોત થયા હોવાના અહેવાલ છે. આ તમામ યુવકો ખાનગી હોસ્પિટલમાં ગટરની ટાંકી સાફ કરવા માટે સલામતીના સાધનો વગર ઉતર્યા હતા. ઝેરી ગેસના કારણે તેમના મોત થયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમામ યુવકો સંતોષ એલાઈડ સર્વિસ નામની એજન્સી દ્વારા ફરીદાબાદ સેક્ટર 16ની ક્યુઆરજી હોસ્પિટલમાં ગટર સાફ કરવા આવ્યા હતા. સૌથી દુખદ વાત એ છે કે રવિ અને રોહિત નામના બે સગા ભાઈઓ ટાંકીમાં સફાઈ માટે ઉતર્યા હતા. જે બાદ તેેમને બચાવવા અન્ય બે વ્યક્તિઓ પહોંચ્યા હતા. જે બાદ આ તમામ 4 લોકો બેહોશ થઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર હોસ્પિટલ સ્ટાફ નરેન્દ્રસિંહ અને શાહિદે ચેમ્બરમાં ફસાયેલા કર્મચારીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એ બંને પણ ગેસની લપેટમાં આવી ગયા હતા.
આ તમામ દિલ્હીના સંગમ વિહારના રહેવાસી હતા. તેમની ઉંમર 25 થી 30 વર્ષની આસપાસ હતી. સફાઈ કામદારોના સુપરવાઈઝર અને એક મૃતકના ભાઈએ હોસ્પિટલ પર બળજબરીથી ટાંકીની સફાઈ કરાવવાના ગંભીર આક્ષેપો કર્યા છે.
મૃતક કર્મચારીઓના સુપરવાઈઝર સતીશ કુમારે હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, તેમના કામમાં ટાંકીની સફાઈ જેવા કોઈ કામનો સમાવેશ થતો નથી, પરંતુ તેમ છતાં હોસ્પિટલના એન્જિનિયરિંગ વિભાગના કર્મચારી દ્વારા આજે તેના તમામ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા. તેને બળજબરીથી ટાંકી સાફ કરાવવામાં આવી હતી.