5 હજાર ખેડૂતોની મુંબઈ તરફ પગપાળા કૂચ, જાણો શું છે માંગણી?
ખેડૂતો અલગ-અલગ જગ્યાએથી એકસાથે કૂચ કરી રહ્યા છે. નાસિક અને અહમદનગર ઉપરાંત ધુલે અને પાલઘરના ખેડૂતો પણ કૂચમાં સામેલ છે. આ ખેડૂતો અખિલ ભારતીય કિસાન સભાના બેનર હેઠળ માર્ચ કરીને મુંબઈ જઈ રહ્યા છે.

મુંબઈ : અંદાજે 5 હજાર ખેડૂતો મુંબઈ તરફ પગપાળા કૂચ શરૂ રહ્યા હોવાના સમાચાર છે. આ ખેડૂતો જંગલી જમીન અને અન્ય ખેડૂતોને લગતા મુદ્દાઓનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ સોમવારથી પોતાની પદયાત્રા શરૂ કરી છે અને શુક્રવારે રાત્રે મુંબઈ પહોંચશે.
જો કે આ પહેલીવાર નથી જ્યારે ખેડૂતોએ આ રીતે સંગઠિત રીતે પોતાની કૂચ શરૂ કરી હોય. આ પહેલા પણ પાંચ વર્ષ પહેલા ખેડૂતોએ મુંબઈ તરફ કૂચ કરી હતી. ત્યારે ખેડૂતોની આ પદયાત્રા મુદ્દે સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમની તમામ માંગણીઓ પૂરી કરવામાં આવશે. પરંતુ ખેડૂતોની કેટલીક માંગણીઓ જ સંતોષાઈ હતી.
હવે ખેડૂતો અલગ-અલગ જગ્યાએથી એકસાથે કૂચ કરી રહ્યા છે. નાસિક અને અહમદનગર ઉપરાંત ધુલે અને પાલઘરના ખેડૂતો પણ કૂચમાં સામેલ છે. આ ખેડૂતો અખિલ ભારતીય કિસાન સભાના બેનર હેઠળ માર્ચ કરીને મુંબઈ જઈ રહ્યા છે. સભાના મહાસચિવ અજિત નવલેએ કહ્યું કે, અમારી કેટલીક માંગણીઓ જ 2018માં પૂરી થઈ, હજુ પણ ઘણી માંગણીઓ પૂરી થઈ નથી.
અહીં તેમણે કહ્યું કે પાંચ વર્ષ પહેલા માર્ચના કારણે સરકારે ખેડૂતોની લોન માફ કરવાની નીતિ બનાવી હતી. હજુ પણ ઘણા પ્રશ્નો છે જેનો ઉકેલ આવ્યો નથી. અમે ડુંગળીના ખેડૂતો માટે પ્રતિ ક્વિન્ટલ 600ની રાહતની માંગ કરી રહ્યા છીએ પરંતુ અમને માત્ર 300ની સબસિડી આપવામાં આવી છે. સરકાર અમને માત્ર આશ્વાસન આપી રહી છે, અમને ન્યાય નથી અપાઈ રહ્યો, ખેડૂતો ન્યાય માટે સરકાર પર દબાણ ચાલુ રાખશે.
આ ઉપરાંત ખેડૂતો જંગલની જમીન માટે પણ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જમીન ખેડતા આદિવાસીઓને હજુ પણ જમીનના હક્ક મળ્યા નથી. લેખિત બાંયધરી બાદ પણ કંઈ થયું નથી. FRA હેઠળ ગ્રાઉન્ડ ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. પરંતુ 18 વર્ષ પછી પણ કંઈ થયું નથી.
આ સમયે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. શિંદે સરકાર ખેડૂતો સાથે વાતચીત દ્વારા તેમના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. મંગળવારે બંને પક્ષોની બેઠક યોજાવાની હતી પરંતુ ખેડૂતોએ તેમાં ભાગ લેવાની ના પાડી દેતાં તે મોકૂફ રાખવામાં આવી હતી, ખેડૂતોનું કહેવું છે કે સરકારના પ્રતિનિધિએ અહીં આવીને માર્ચમાં જ તેમની સાથે વાત કરવી જોઈએ.
બીજી તરફ મહારાષ્ટ્રના મંત્રી દાદા ભુસે અને અતુલ સેવેએ કહ્યું કે, તેઓ ખેડૂતોને મળવા જશે. શિંદે સરકાર પર નિશાન સાધતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અન્નદાતાને આટલા દૂરથી ચાલતુ આવવુ પડે તે દુર્ભાગ્યપૂર્ણ છે. સરકારે તેમને મળવા ત્યાં જવું જોઈએ. તેમણે ખેડૂતોની સમસ્યાઓ સમજવી જોઈએ.












Click it and Unblock the Notifications
