Jammu and Kashmir Assembly Election 2024: 5700 હિન્દુ પરિવારો પહેલી વાર કરશે મતદાન, આ રીતે મળ્યો મતદાનનો હક?
Jammu and Kashmir Assembly Election 2024: હાલ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024માં 18 સપ્ટેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં મતદાન સંપન્ન થયું હતું. હવે બે તબક્કામાં 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. તમામ રાજકીય પક્ષો જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવા પક્ષોએ તેમના મેનિફેસ્ટોમાં કલમ 370 પરત કરવાનું વચન આપ્યું છે, પરંતુ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં લગભગ 5,700 હિન્દુ પરિવારો છે.
આ હિન્દુ પરિવારોને કલમ 370ને કારણે ક્યારેય મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આમાંના મોટાભાગના દલિત અથવા અનુસૂચિત જાતિ (SC) સમુદાયના લોકો પણ છે, જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે.
જમ્મુ અને કાશ્મીરના અંદાજે 5,700 હિન્દુ પરિવારો મૂળરૂપે પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓ છે, જેમના પૂર્વજોએ 1947માં દેશના ભાગલા વખતે પોતાનો જીવ અને સન્માન બચાવવા માટે ઘર છોડીને ભારતમાં આશ્રય લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, કલમ 370 હેઠળ વિશેષ દરજ્જો નાબૂદ થવાને કારણે આ વખતે તેમને પ્રથમ વખત મતદાન કરવાની તક મળવા જઈ રહી છે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અથવા પાકિસ્તાનના સિયાલકોટથી ભારતમાં આવેલા મોટાભાગના હિન્દુ શરણાર્થીઓ હજુ પણ જમ્મુ નજીક 39 ઝૂંપડપટ્ટી (શરણાર્થી શિબિરો) માં રહે છે.
આ વખતે તેઓ છેલ્લા તબક્કાના મતદાનમાં એટલે કે 1 ઓક્ટોબરના રોજ ભાગ લેશે, જે તેઓ અગાઉ કરી શક્યા ન હતા. આ એટલા માટે શક્ય બન્યું છે.
જેનું કારણ એ છે કે, કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો નાબૂદ થવાને કારણે, આ શરણાર્થીઓને કાયમી નિવાસીનો દરજ્જો મળ્યો છે.
આ સાથે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં 2 બેઠકો પરપ્રાંતિયો માટે અનામત પણ રાખી છે, જેના પર કેન્દ્ર સરકાર તેમના બે સભ્યોને નોમિનેટ કરશે.
પશ્ચિમ પાકિસ્તાન રેફ્યુજી એક્શન કમિટીના પ્રમુખ લાભુ રામ જણાવે છે કે, મતદાનનો દિવસ અમારા માટે તહેવાર જેવો હશે. આ લોકો આ અવસર પર પુરી-હલવો અને લાડુ ખાઈને પોતાની ખુશી વ્યક્ત કરવાની તૈયારી કરી રહ્યા છે.
જમ્મુમાં આવા જ એક કેમ્પમાં રહેતા દેસ રાજ જણાવે છે, આર્ટિકલ 370 નાબૂદ થવાથી અમારી રાજકીય પરિસ્થિતિમાં મોટો ફેરફાર થયો છે અને આખરે અમને ચૂંટણી પ્રક્રિયાનો ભાગ બનવાની તક મળી છે. અત્યાર સુધી અમે બીજા વર્ગના નાગરિક તરીકે જીવતા હતા.
દેસ રાજ જણાવે છે, આ મૂળભૂત લોકતાંત્રિક અધિકારો એ લોકો દ્વારા અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યા હતા, જેઓ આજે લોકશાહી સંસ્થાઓનું રક્ષણ કરવાનો દાવો કરે છે.
1947 માં, ઘણા હિન્દુ શરણાર્થીઓને પીઓકેમાંથી ભગાડી દેવામાં આવ્યા હતા અને કેટલાક જમ્મુની સરહદે આવેલા સિયાલકોટમાંથી ભાગી ગયા હતા.
1960ના દાયકામાં તેમને જમ્મુમાં જમીન આપવામાં આવી હતી, પરંતુ કલમ 370ને કારણે તેમના માટે તેની માલિકી મેળવવી અશક્ય હતી.
આની અસર એ થઈ કે ન તો તેઓને સરકારી આવાસ યોજનાનો લાભ મળ્યો કે ન તો તેઓ તે જમીન પર બેંકો પાસેથી લોન મેળવી શક્યા.
આ વર્ષે 2 ઓગસ્ટના રોજ, જમ્મુ અને કાશ્મીર પ્રશાસને આ શરણાર્થીઓને તે જમીનના માલિકી હક્ક આપ્યા જ્યાં સરકારે દાયકાઓ પહેલા તેમના પૂર્વજોને જમીન આપી હતી.
સિયાલકોટથી આવતા મોટાભાગના શરણાર્થીઓ અથવા તો કઠુઆ અને આરએસ પુરા વિસ્તારમાં આવ્યા હતા, જ્યારે મોટા ભાગના જમ્મુ ગયા હતા. કેટલાક શરણાર્થીઓ દિલ્હી, પંજાબ અને દેશના અન્ય રાજ્યોમાં પણ ગયા હતા.
ઈતિહાસકારોના મતા અનુસાર તેમના માટે જમ્મુ આવવું અનુકૂળ હતું. કારણ કે, તે સમયે આ વિસ્તાર સિયાલકોટ સાથે રોડ અને રેલ બંને દ્વારા જોડાયેલો હતો અને તેમની સંસ્કૃતિ પણ ઘણી સમાન હતી.












Click it and Unblock the Notifications
