રાહુલ ગાંધીના ભાષણથી આજે થશે કોંગ્રેસનું 84મું મહાઅધિવેશન
કોંગ્રેસ મહાઅધિવેશનને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી આજે સંબોધિત કરશે. દિલ્હી ખાતે યોજાયેલા આ કાર્યક્રમને ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે યોજવામાં આવ્યો છે.
કોંગ્રેસ મહાઅધિવેશનને આજે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સંબોધિત કરશે. રાજધાની દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે શનિવારથી કોંગ્રેસ મહાધિવેશન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. જો કે આ કાર્યક્રમ આમ તો શુક્રવારે શરૂ થઇ ગયો હતો પણ રાહુલ ગાંધીના ભાષણ સાથે તેની ઔપચારિક શરૂઆત થશે. રાહુલ ગાંધીના અધ્યક્ષ બન્યા પછી પહેલીવાર કોંગ્રેસનું મહાઅધિવેશિન થઇ રહ્યું છે. આ અધિવેશનમાં પાર્ટીની આવનારા 5 વર્ષની રણનીતિ નક્કી કરવામાં આવશે. સાથે જ આર્થિક અને વિદેશી મામલે પણ ચાર મહત્વપૂર્ણ પ્રસ્તાવ પારિત કરવામાં આવશે. કોંગ્રેસના 84માં મહાઅધિવેશન પહેલા રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટી સમિતિની મીટિંગ થશે.
આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, યુપીએ પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાઅર્જૂન ખડગે, રાજ્યસભાના નેતા પ્રતિપક્ષ ગુલાબ નબી આઝાદ, વરિષ્ઠ નેતા એ કે એન્ટની, જનાર્દન દ્વિવેદી તથા પાર્ટી પ્રદેશ અધ્યક્ષો સમતે વિવિધ વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. શુક્રવારે સાંજે વિષય સમિતિની બેઠકમાં મહાઅધિવેશનમાં રજૂ કરવામાં આવેલા ચાર પ્રસ્તાવોને મંજૂરી આપી દેવામાં આવી છે.
રાહુલ ગાંધીના ભાષણ સાથે જ સોનિયા ગાંધી અને મનમોહન સિંહ પણ તેમના ભાષણ રજૂ કરશે અને મહાઅધિવેશનના સમાપન પર પણ કોંગ્રેસ અધ્યક્ષની સ્પીચ હશે જેમાં આગામી ચૂંટણીમાં પાર્ટી માટે મહત્વની યોજનાઓ નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જે માટે ભાજપ વિરુદ્ધ મોર્ચો લડવા માટે કોંગ્રેસને ખાસ રણનીતિ બનાવવાની જરૂર છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહાધિવેશનમાં નેતાઓ કરતા કાર્યકર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.