ચીન સહિત 6 દેશથી આવતા યાત્રીઓ માટે નેગેટિવ કોરોના રિપોર્ટ જરૂરી, દવા કંપનીઓને પણ નિર્દેશ અપાયા
કોરોનાને લઈને ભારત સરકાર સખ્ત જોવા મળી રહી છે. હવે ભારત સરકારે કોરોના પીડિત 6 દેશોથી આવતા લોકો માટે દિશા નિર્દેશો જાહેર કર્યા છે.
નવી દિલ્હી : ચીન સહિત દુનિયામાં વધી રહેલા કોરોનાના કેસને લઈને ભારતમાં ચિંતાનો માહોલ છે. ભારત સરકાર સતત આવનારી આફત સામે તૈયારી કરી રહી છે. હવે ભારત સરકારે મોટી જાહેરાત કરતા 6 દેશથી આવનારા યાત્રીઓ માટે નેગેટિવ કોરોના રિપોર્ટ ફરજીયાત કર્યો છે.
સામે આવેલી વિગતો અનુસાર, હવે ભારતમાં આવતા 6 દેશોના પ્રવાસીઓ માટે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજીયાત કર્યો છે. આ દેશોમાંથી આવતા તમામ યાત્રીઓએ નેગેટિવ કોરોના રિપોર્ટ દેખાડવો પડશે. ત્યારબાદ જ ભારતમાં પ્રવેશ મળશે. આ દેશોમાં ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. આ તમામ દેશોથી આવનારા લોકોના આરટી-પીસીઆર ટેસ્ટ પણ ફરજીયાત કરાયા છે. આ દેશોથી આવતા લોકોએ તેમનો નેગેટિવ કોરોના રિપોર્ટ એયર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.
ભારતના આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી હતી તે અનુસાર આ કોરોના નેગેટિવ રિપોર્ટ છેલ્લા 72 કલાકમાં થયેલો હોવો ફરજીયાત છે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે ભારતમાં પહેલાથી જ રેન્ડમ સેંપલિંગ કરવામાં આવી રહ્યુ છે. એરપોર્ટ પર આવતા તમામ લોકોમાંથી 2 ટકાના રેન્ડમ ટેસ્ટ કરાઈ રહ્યા છે.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ફાર્મા કંપનીઓના પ્રતિનિધીઓ સાથે વીડિયો કોન્ફ્રન્સથી બેઠક યોજી હતી અને અહીં તેમને કોરોના ક્લિનિકલ મેનેજમેન્ટ અને સારવારમાં વપરાતી દવાઓના સ્ટોક અંગે ચર્ચા કરી નિશા નિર્દેશો આપ્યા હતા. આરોગ્યમંત્રીએ ફાર્મા કંપનીઓને વૈશ્વિક પુરવઠા શૃંખલાની સ્થિતિ પર નજર રાખવા પણ જણાવ્યુ છે. આ સાથે API ના ઉત્પાદન અને ઉપલબ્ધતા સહિત કોવિડ વ્યવસ્થાપન માટે જરૂરી દવાઓના ઉત્પાદનની સૂક્ષ્મતા પર ધ્યાન આપવા નિર્દેશ કર્યા છે.
ભારત સરકાર આવનારી આફતને ટાળવા માટે સતત પ્રયત્ન કરી રહી છે ત્યારે મનસુખ માંડવિયાએ રિટેલ સ્તર સુધી સપ્લાય ચેઇનમાં કોરોનાની દવાઓ સહિત તમામ દવાઓનો પૂરતો સ્ટોક અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કહ્યું હતું.
અહીં તમને જણાવી દઈકે હાલ વિશ્વમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ વધારા પાછળ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનું સબવેરિઅન્ટ BF.7 જવાબદાર છે. ભારતમાં પણ તેના કેસ જોવા મળ્યા છે.