આંદોલનમાં શહિદ ખેડૂતોની યાદમાં પંજાબમાં સ્ટેડિયમ બનશે, 1 કરોડ ફાળવાયા!
કેન્દ્રીય કૃષિ કાયદાઓ સામે લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના વિરોધ દરમિયાન પોતાનું બલિદાન આપનારા ખેડૂતોની સ્મૃતિમાં સ્પોર્ટસ સ્ટેડિયમ બનાવવામાં આવશે.
ચંદીગઢ, 23 ઓક્ટોબર : કેન્દ્રીય કૃષિ કાયદાઓ સામે લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના વિરોધ દરમિયાન પોતાનું બલિદાન આપનારા ખેડૂતોની સ્મૃતિમાં સ્પોર્ટસ સ્ટેડિયમ બનાવવામાં આવશે. આ સ્ટેડિયમ શ્રી ચમકૌર સાહિબ વિધાનસભા ક્ષેત્રના હરિપુર ઉર્ફે રોડમાજરા ગામમાં બનાવવામાં આવશે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ સ્ટેડિયમના નિર્માણ માટે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરી છે.
પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે. લોકહિતમાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સોમવારે સીએમ ચન્નીએ ચમકૌર સાહિબ વિધાનસભા ક્ષેત્ર હેઠળના વિવિધ ગામો માટે 1000 કરોડના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. ચન્નીએ ચમકૌર સાહિબ બ્લોકના 75 ગામોની પંચાયતોને 60 કરોડ રૂપિયાના ચેકનું પણ વિતરણ કર્યું હતું. તેમણે લોકોને પેન્ડીંગ વીજ બિલોના પ્રતિક રૂપે બીલની કોપી સળગાવીને વીજ બિલ માફ કરવા પણ જણાવ્યું હતું. જણાવી દઈએ કે રાજ્ય સરકારે 2 kW સુધીનો પાવર લોડ ધરાવતા તમામ ગ્રાહકોના બીલ માફ કરવાનો નિર્ણય લીધો છે.
સંધુઆન, ગગ્ગન, ભૈરોં માજરા, બેલા, વાજિદપુર અને મહતોત ગામોમાં એક સભાને સંબોધતા ચન્નીએ કહ્યું કે, આ મતવિસ્તારમાંથી સતત ત્રીજી વખત મને ચૂંટવા બદલ હું આપ સૌનો આભારી છું, હવે કોંગ્રેસ હાઈકમાન્ડે હવે મને મુખ્યમંત્રી બનાવ્યો છે. તેમણે કહ્યું કે ચમકૌર સાહિબના આ પછાત વિસ્તારમાં વિકાસ કાર્યોમાં કોઈ કસર છોડવામાં આવશે નહીં. નોંધનીય છે કે પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.