વિવાદનો આવ્યો અંત, 'રિસાયેલા' અડવાણી માની ગયા
તેમણે કહ્યું કે, અડવાણીજીએ પક્ષના મહત્વના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું અને એ મુદ્દે સંસદિય બોર્ડની બેઠક મળી હતી, જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેમના રાજીનામાનો સ્વિકાર કરવામાં આવશે નહીં, અમે તેમને અનુરોધ કર્યો હતો કે, તમે હંમેશા પક્ષને માર્ગદર્શન પૂરૂ પાડ્યું છે અને પક્ષનું નેતૃત્વ કર્યું છે. પક્ષને તમારા માર્ગદર્શન અને નેતૃત્વની જરૂર છે.
રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ અડવાણીજી સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ પક્ષને આદર આપે અને બોર્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, તેનો સ્વિકાર કરવામાં આવે. પક્ષને માર્ગદર્શન અને નેતૃત્વ તમારા દ્વારા પૂરુ પાડવામાં આવે. મોહન ભાગવત દ્વારા કહેવામાં આવેલી વાતનો સ્વિકાર અડવાણી દ્વારા કરવામા આવ્યો છે અને તેઓ માની ગયા છે.
મોદીએ કર્યું અડવાણીના નિર્ણયનું સ્વાગત
અડવાણી દ્વારા મોહન ભાગવતની વાતનો સ્વિકાર કરવામાં આવ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે કે, મે કાલે જ કહ્યું હતું કે અડવાણીજી લાખો કાર્યકર્તાઓને નિરાશ નહીં કરે, હું આજે અડવાણીજીના નિર્ણયનું હૃદયથી સ્વાગત કરું છું.
નોંધનીય છે કે, અડવાણીએ મોદીની ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન તરીકેની નિયુક્તિના બીજા દિવસે રાજીનામું આપ્યા બાદ ગઇકાલથી પક્ષના દિગ્ગજ નેતા અરૂણ જેટલી, સુષમા સ્વરાજ, નીતિન ગડકરી, નરેન્દ્ર મોદી, મુક્તાર અબ્બાસ નકવી સહિતનાઓએ તેમને મનાવવાના શક્ય તેટલા તમામ પ્રયાસો કર્યા હતા, અને એ પ્રયાસોના ફળ રૂપે આજે અડવાણીના ઘરે પક્ષના દિગ્ગજ નેતાઓની બેઠક મળી હતી. બેઠક કર્યા બાદ રાજનાથ સિંહે અડવાણીના નિવાસ્થાને પત્રકાર પરિષદ યોજી હતી, જોકે પરિષદમાં અડવાણી હાજર રહ્યાં નહોતા. જે અંગે રાજનાથ સિંહે કહ્યું હતું કે અડવાણીને પરિષદમાં હાજર નહીં રહેવા તેમણે જ અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવા ખાતે ભાજપની રાષ્ટ્રિય કાર્યકારિણીની બે દિવસની બેઠક મળી હતી. આ બેઠકમાં પણ પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હાજર રહ્યાં નહોતા અને ત્યારબાદ 9મી જૂનના રોજ સર્વાનુમતે પક્ષની ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમને તરીકે નરેન્દ્ર મોદીની નિયુક્તિ કરવામાં આવી હતી. આ વચ્ચે અડવાણીના ઘરની બહાર મોદી સમર્થકો દ્વારા પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યું હતું. બે દિવસના આ હાઇવોલ્ટેજ ડ્રામાના બીજા જ દિવસે લાલકૃષ્ણ અડવાણી પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપીને ભાજપના રાજકારણમાં ભૂકંપ આવ્યો હોય તેવો માહોલ ઉભો કરી દીધો છે અને હાલ પક્ષના તમામ દિગ્ગજ તેનાઓ તેમને મનાવવામાં લાગી ગયા છે.