નરેન્દ્ર મોદીના નામ પર અડવાણીની સશર્ત સહમતી
નવી દિલ્હી, 5 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામ અંગે હજી પણ ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. આ દરમિયાન નરેન્દ્ર મોદીને પ્રચાર સમિતીના અધ્યક્ષ બનતા રોકવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહેલા અડવાણીએ નવેસરથી પોતાના સોગઠાં ચલાવવાનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નરેન્દ્ર મોદીના નામ અંગે તેમણે સશર્ત સહમતી દર્શાવી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર ગોવામાં 7 જૂનથી મળી રહેલી ભાજપની કારોબારી બેઠક પહેલા જ ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથ સિંહ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જ અડવાણીએ નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ બનાવવા અંગે પોતાની સહમતી દર્શાવી છે. જો કે આ સહમતી માટે તેમણે શરત પણ મૂકી છે. તેમની શરત છે કે નરેન્દ્ર મોદીને પ્રમોટ કરવાની સાથે આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન નીતિન ગડકરીને પણ જવાબદારી સોંપવામાં આવે.
બીજી તરફ આ જવાબદારી માટે નીતિન ગડકરી તૈયાર નહીં હોવાનું જાણવા મળે છે. ભાજપમાં મોદીના સમર્થકો ઇચ્છે છે કે ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કોણ કરશે તે અંગેનો નિર્ણય ઝડપથી લેવામાં આવે. કારણ કે લોકસભા ચૂંટણી 2014 સમય કરતા વહેલી યોજાવાની શક્યતા નકારી શકાય એમ નથી. આવી સમયમાં ઝડપથી નિર્ણય લેવાય તો પ્રચાર સમિતીને યોગ્ય રણનીતિ ઘડવાનો સમય મળી શકે.