મોદીનો ઉપયોગ કરી તેમને સાઇડલાઇન કરી દેશે ભાજપા: સચિન પાયલટ
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર : કોંગ્રેસના યુવા કેન્દ્રીય મંત્રી સચિન પાયલટનું માનવું છે કે ભાજપા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ઉપયોગ કરી રહી છે અને એકવાર તેમનો ઉપયોગ કરીને રાજનાથ સિંહ સહિત અન્ય નેતાઓ જાતે જ બધી કમાન સંભાળી લેશે.
તેમણે એ પણ જણાવ્યું કે મોદીની પ્રધાનમંત્રી પદ માટેની ઉમેદવારી કોંગ્રેસ માટે ફળદાયી સાબિત થશે. પાયલટનું કહેવું છે કે 2009ની ચૂંટણીમાં જ્યારે અડવાણીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, તો કોંગ્રેસને 50 બેઠકોનો ફાયદો થયો હતો. કોંગ્રેસની બેઠકોની સંખ્યા 156થી વધીને 206 થઇ ગઇ હતી.
પાયલટનું કહેવું છે કે આજે રાજગમાં માત્ર શિવસેના અને અકાલી દળ જ ભાજપાનું સમર્થન કરનાર રહી ગયા છે, જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઇના સમયમાં તેમની પાસે 24 દળોનું ગઠબંધન હતું. કોંગ્રેસ માટે તેમણે જણાવ્યું કે લોકસભા ચૂંટણી પહેલા યોજાનાર ચાર રાજ્યોના વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી જ પાર્ટીનું નેતૃત્વ કરશે. જોકે તેમણે એ નથી જણાવ્યું કે યુપીએનો હવે પછીનો પ્રધાનમંત્રી કોણ બનશે.
પાયલટનું કહેવું છે કે રાહુલ ગાંધી જ એવા વ્યક્તિ છે જે બધા જ ધર્મ, ભાષા અને જાતિઓને એક સાથે લઇને ચાલી શકે છે અને કોંગ્રેસે ક્યારેય પણ પ્રધાનમંત્રી અથવા મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી નથી. આવું કરવાની ઉતાવળમાં માત્ર નરેન્દ્ર મોદી છે. પાયલટના જણાવ્યા અનુસાર જો મોદી ગુજરાત રમખાણો માટે માફી માંગવા માટે તૈયાર નથી તો તેમને આના માટે મજબૂર કરી શકાય નહીં.