એર ઇન્ડિયા સાથે 24 કલાકમાં બીજી દુર્ઘટના, હવે દિલ્હી એરપોર્ટ પર વિમાનમાં આગ લાગી
એર ઇન્ડિયાની મુશ્કેલીઓ હાલ ઓછી થવાનું નામ નથી લઈ રહી. છેલ્લા 24 કલાકમાં એર ઇન્ડિયાને બે મોટા ઝટકા લાગ્યા છે.
મુંબઈમાં રનવે પરથી વિમાનના લપસી પડવાની ઘટનાના એક દિવસ બાદ દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (IGI) પર હોંગકોંગથી આવેલા એક વિમાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જો કે, સદનસીબે આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ યાત્રીઓ તેમજ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.

અહેવાલો અનુસાર, 22 જુલાઈ 2025 ના રોજ હોંગકોંગથી દિલ્હી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-315 (બોઇંગ 787-8) દિલ્હી એરપોર્ટ પર સવારે લગભગ 6:30 વાગ્યે લેન્ડ થઈ હતી. વિમાન ટર્મિનલ 3 ના ગેટ નંબર 42 પર પાર્ક કરવામાં આવ્યું હતું અને યાત્રીઓ ઉતરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી.
આ વિમાનના પાછળના ભાગમાં આવેલા સહાયક વિદ્યુત એકમ (APU) માંથી અચાનક આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. APU એ સિસ્ટમ છે જે વિમાનને જમીન પર વીજળી અને એર કન્ડિશનિંગ પૂરું પાડે છે.
ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, આગ જોઈને યાત્રીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. એક યાત્રીએ X પર લખ્યું કે, અમે હમણાં જ વિમાનમાંથી ઉતરી રહ્યા હતા કે અચાનક ધુમાડો અને આગની જ્વાળાઓ દેખાઈ. બધા બૂમો પાડવા લાગ્યા, પરંતુ ક્રૂએ તરત જ અમને બહાર કાઢ્યા.
દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) ની ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરીને આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ અને વિમાનને સામાન્ય નુકસાન થયું છે.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ આ ઘટના અંગે નિવેદન બહાર પાડતા જણાવ્યું કે, ફ્લાઇટ AI-315 માં લેન્ડિંગ બાદ APU માં આગ લાગવાની ઘટના બની હતી. સિસ્ટમ ડિઝાઇન મુજબ APU આપમેળે બંધ થઈ ગયું હતું, જેના કારણે સ્થિતિ નિયંત્રણમાં રહી. તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. વિમાનને તપાસ માટે રોકી દેવામાં આવ્યું છે અને DGCA ને જાણ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
