અક્ષય કુમારે સુકમાના શહીદોને દાન કર્યા રૂ. 1.08 કરોડ
અક્ષય કુમારે છત્તીસગઢના સુકમામાં શહીદ થયેલ સીઆરપીએફ જવાનોને 1.08 કરોડ રૂપિયા આપ્યા છે. અક્ષય કુમાર તરફથી દરેક પરિવારને 9 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.
બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે છત્તીસગઢ ના સુકમા માં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવારનો માટે 1.08 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. સુકમામાં થયેલ નક્સલવાદી હુમલામાં 12 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. આ શહીદ જવાનોના પરિવારજનોને મદદ કરવા માટે અક્ષય કુમારે દરેક પરિવારને 9 લાખ રૂપિયા દાન કરવાનો વાયદો કર્યો છે.

સીઆરપીએફ દ્વારા પ્રેસ રિલીઝ જાહેર કરી આ વાતની સૂચના આપવામાં આવી છે. અક્ષય કુમારના આ પગલાના વખાણ કરતાં સીઆરપીએફ એ કહ્યું કે, આ પગલું તેમની દેશભક્તિ અને અને દેશના લોકો તથા સેના પ્રત્યે તેમના સમર્પણને દર્શાવે છે. સુકમાના હુમલા બાદ અક્ષય કુમાર સતત આઇપીએસ અધિકારી અમિત લોઢાના સંપર્કમાં હતા. અમિત લોઢા જેસલમેર નૉર્થ સેક્ટરના ડીઆઇજી છે. અક્ષયે તેમના આ હુમલામાં શહીદ થયેલા જવાનોની જાણકારી માંગી હતી તથા શહીદ જવાનોના પરિવારજનોની મદદ કરવાની રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 11 માર્ચના રોજ સીઆરપીએફની 219મી બટાલિયન પર સુકમાના ભેજ્જી થાણા વિસ્તારમાં નક્સલીઓએ હુમલો કર્યો હતો. નક્સલી પહેલેથી ત્યાં ઘાત લગાવીને બેઠા હતા. તેમણે પહેલા ઇઇડી બ્લાસ્ટ કર્યો અને પછી ઘાયલ જવાનો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં 12 જવાનો શહીદ થયા હતા.












Click it and Unblock the Notifications
