અરુણાચલ પ્રદેશ: IAFનું હેલિકોપ્ટર ક્રેશ થતાં 7નું મૃત્યુ
અરુણાચલ પ્રદેશમાં આઇએએફનું હેલિકોપ્ટર ક્રેશ થતાં 6નું મૃત્યુ અને એક ઇજાગ્રસ્ત
શુક્રવારે સવારે અરુણાચલ પ્રદેશમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું. આ હેલિકોપ્ટમાં સવાર 7 જવાનોનું મૃત્યુ થયું હતું અને એક ઇજાગ્રસ્ત છે, જેમની હાલત ગંભીર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલિકોપ્ટર 17 વી5 શ્રેણીનું આ હેલિકોપ્ટર પ્રશિક્ષણ ઉડાન ભરી રહ્યું હતું, તે દરમિયાન શુક્રવારે સવારે 6 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટના અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં બની હતી.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સાતેય જવાનોના શબ કબજે કરવામાં આવ્યા છે. હેલિકોપ્ટરમાં આવેલ ટેક્નિકલ ખામીને કારણે તે ક્રેશ થયું હોવાનું કહેવાઇ રહ્યું છે. હેલિકોપ્ટર ક્રેશ થતાં પહેલાં કોઇ મોટા પહાડ સાથે અથડાયું હોવાની પણ સંભાવના વ્યક્ત થઇ રહી છે. વાયુસેના તરફથી આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અરુણાચલ પ્રદેશના જે તવાંગ વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી તે ઘણો દુસ્તર વિસ્તાર છે, જ્યાં પહોંચવા માટે કોઇ રસ્તો નથી. પાંચ-છ કલાક પગપાળા ચાલ્યા બાદ જ ત્યાં પહોંચી શકાય છે. તવાંગ વિસ્તાર ચીનની સીમા પાસે આવેલો પ્રદેશ છે. 8 ઓક્ટોબરના રોજ વાયુસેના દિવસ છે, જેના એક દિવસ પહેલાં આ દુર્ઘટના ઘટી છે.