હવે ઈન્ડિયા ગેટ પર પ્રજ્વલિત નહિ રહે 'અમર જવાન જ્યોતિ', નેશનલ વૉર મેમોરિયલની મશાલમાં થઈ જશે વિલીન
દિલ્લીના ઈન્ડિયા ગેટ પર 24 કલાક પ્રજ્વલિત રહેતી અમર જવાન જ્યોતિ હવે નેશનલ વૉર મેમોરિયલમાં પ્રજ્વલિત રહેશે.
નવી દિલ્લીઃ રાજધાની દિલ્લીના ઈન્ડિયા ગેટ પર 24 કલાક પ્રજ્વલિત રહેતી અમર જવાન જ્યોતિ હવે નેશનલ વૉર મેમોરિયલમાં પ્રજ્વલિત રહેશે. ભારતીય સેનાના અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે શુક્રવાર, 21 જાન્યુઆરીએ એક સમારંભમાં અમર જવાન જ્યોતિની મશાલ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મશાલ સાથે વિલીન થઈ જશે. એટલે કે હવે ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિની મશાલ હવે બુઝાઈ જશે.
ભારતીય સેના તરફથી જણાવવામાં આવ્યુ છે કે ઈન્ડિયા ગેટ પર બનેલ અમર જવાન જ્યોતિને નેશનલ વૉર મેમોરિયલની મશાલમાં મિલાવવામાં આવશે ત્યારબાદ અમર જવાન જ્યોતિની મશાલ બંધ થઈ જશે. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને દેશ પ્રત્યે તેમના બલિદાનને યાદ રાખવા માટે નેશનલ વૉર મેમોરિયલની મશાલ પ્રજ્વલિત રહેશે. ઈન્ડિયા ગેટ પાસે 40 એકર જમીન પર લગભગ 176 કરોડ રૂપિયાની કિંમતથી નેશનલ વૉર મેમોરિયલ બનાવવામાં આવ્યુ છે.
1971થી પ્રજ્વલિત હતી ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ
તમને જણાવી દઈએ કે બ્રિટિશ સરકારે પહેલા વિશ્વ યુદ્ધ બાદ ભારતીય સૈનિકોની યાદમાં ઈન્ડિયા ગેટ બનાવ્યો હતો. 1971ના યુદ્ધમાં શહીદ સૈનિકોના સમ્માનમાં ઈન્ડિયા ગેટ પર મશાલ અમર જવાન જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવી. અમર જવાન જ્યોતિ જંગ દરમિયાન શહીદ થયેલ ભારતીય સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ રૂપે ઈન્ડિયા ગેટની નીચે 24 કલાક સળગતી રહે છે.