અમિત શાહ-ઠાકરે મુલાકાત બાદ ભાજપનું મોટુ નિવેદન 2019નું ગણિત બદલશે
ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુથ ઉદ્ધવ ઠાકરે વચ્ચે બુધવારે થયેલી બેઠક બાદ ભાજપે આ મુલાકાતને સકારાત્મક ગણાવી છે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુથ ઉદ્ધવ ઠાકરે વચ્ચે બુધવારે થયેલી બેઠક બાદ ભાજપે આ મુલાકાતને સકારાત્મક ગણાવી છે. ભાજપે કહ્યુ છે કે બંને મોટા નેતાઓ વચ્ચે આવનારા મહિનાઓમાં આ પ્રકારની બીજી બેઠકો થશે. ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કર્યા બાદ અમિત શાહે ભાજપના ઘણા બીજા મોટા નેતાઓ સાથે પણ મુલાકાત કરી અને 2019 ની લોકસભા ચૂંટણીમાં શું રણનીતિ હોવી જોઈએ તે અંગે વાતચીત કરી.

બંને પક્ષો વચ્ચે વધી હતી તકરાર
ભાજપના સૂત્રો અનુસાર ભાજપ અને શિવસેના વચ્ચે આવનારા મહિનાઓમાં આ પ્રકારની બીજી બે-ત્રણ બેઠકો થઈ શકે છે. શાહ અને ઠાકરે વચ્ચે મુલાકાત થવી એ સારી શરૂઆત છે. આ બેઠક દ્વારા બંને પક્ષો વચ્ચે જે તકરાર થઈ હતી તે ઓછી કરવામાં મહદ અંશે મદદ મળશે. ધ્યાન પર લેવા જેવી વાત એ છે કે મહારાષ્ટ્રની પાલઘર લોકસભા પેટાચૂંટણી દરમિયાન બંને પક્ષો વચ્ચે તકરાર થઈ હતી. જેના કારણે શાહ અને ઠાકરે વચ્ચેની આ બેઠક ઘણી મહત્વની છે.

ઘણા મુદ્દાઓ પર ચર્ચા
શાહ અને ઠાકરે વચ્ચે મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. આ બેઠક દરમિયાન બંને પક્ષો વચ્ચે ગઠબંધનમાં તકરાર, પ્રશાસનિક મુદ્દાઓ પર મતભેદ સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. પક્ષના સૂત્રોનું કહેવું છે કે ભાજપે આ પગલુ આગામી 2019 ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લીધુ છે જેથી બંને પક્ષો વચ્ચે ચૂંટણી દરમિયાન સારુ સમન્વય રહે અને ગઠબંધનમાં તિરાડ ન પડે.

બે કલાક ચાલી વાતચીત
સૂત્રો મુજબ શાહે ઠાકરે સાથે મુલાકાત દરમિયાન કહ્યુ કે ભાજપ બંને પક્ષો વચ્ચે મતભેદ દૂર કરવા માટે તૈયાર છે અને તે ઈચ્છે છે કે 2019 ની લોકસભા ચૂંટણી પહેલા બંને પક્ષો વચ્ચે ગઠબંધન થાય. વળી, એ વાત પર પણ જોર આપવામાં આવ્યુ કે શિવસેના તેમના માટે ઘણો મહત્વનો સહયોગી પક્ષ છે. ભાજપના એક મોટા નેતાએ જણાવ્યુ કે ભાજપ પહેલી મુલાકાતમાં કોઈ મોટા પરિણામની અપેક્ષા નહોતુ રાખી રહ્યુ પરંતુ એ વાતને નજરઅંદાજ ન કરી શકાય કે શિવસેનાના નેતાઓએ લગભગ બે કલાક સુધી મુલાકાત કરી છે.

રાતોરાતો ન લઈ શકાય નિર્ણય
ભાજપના એક મોટા નેતાએ જણાવ્યુ કે રાજકારણમાં રાતોરાત નિર્ણયો નથી લઈ શકાતા. આના માટે બંને પક્ષો એકબીજા સાથે વાત કરે છે અને એકબીજાની સંમતિ બાદ કોઈ પરિણામ પર પહોંચે છે. ભાજપના નેતાએ કહ્યુ કે ઠાકરેએ ફડણવીસનું સ્વાગત કર્યુ અને બેઠક પૂર્ણ થયા બાદ ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે ભાજપ નેતાઓને ઘરની બહાર સુધી મૂકવા પણ આવ્યા હતા.












Click it and Unblock the Notifications
