અમરોહાના ચિત્રકાર જોએબ ખાને બિપિન રાવતને અનોખી શ્રદ્ધાંજલિ આપી!
હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત, બે સ્ટાફ સભ્યો અને અન્ય 9 લોકોના મૃત્યુએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. દરેક વ્યક્તિ દુઃખી છે.
અમરોહા, 9 ડિસેમ્બર : હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત, બે સ્ટાફ સભ્યો અને અન્ય 9 લોકોના મૃત્યુએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. દરેક વ્યક્તિ દુઃખી છે. લોકો પોતાની રીતે CDS જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અમરોહાના એક કલાકાર જોએબ ખાને સ્વર્ગસ્થ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપિન રાવતને 8 ફૂટ ચારકોલ પેઇન્ટિંગ બનાવીને શ્રદ્ધાંજલિ આપી છે.
ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા અને અન્ય 11 સૈન્ય અધિકારીઓનું તમિલનાડુમાં કુન્નૂર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ દેશ શોકમાં ડૂબી ગયો છે. ગુરુવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદમાં આ ઘટના અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આ દુર્ઘટના બપોરે 12.08 વાગ્યા પછી સર્જાઈ. ત્યારથી એર ટ્રાફિક કંટ્રોલનો હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. રાજનાથ સિંહે કહ્યું કે, જનરલ બિપિન રાવત તેમના પ્રવાસ માટે તમિલનાડુના વેલિંગ્ટન જઈ રહ્યા હતા. એરફોર્સના Mi-17 V5 હેલિકોપ્ટરે ગઈકાલે સવારે 11:48 વાગ્યે સુલુર એર બેઝ પરથી ઉડાન ભરી હતી અને તે સવારે 12:15 વાગ્યે વેલિંગ્ટન લેન્ડ કરવાનું હતું, પરંતુ સુલુર એર બેઝ પર એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક 12:08 વાગ્યે તૂટી ગયો હતો.
રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ વરિષ્ઠ ફાયરમેન એનસી મુરલીના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટરના કાટમાળમાંથી બે લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી એક જનરલ બિપિન રાવત હતા. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. એનસી મુરલીએ જણાવ્યું હતું કે સ્થળ પરથી જીવતા બહાર કાઢવામાં આવેલા બીજો વ્યક્તિ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હતા, જેની બાદમાં ઓળખ થઈ હતી. વરુણ સિંહ હાલમાં લાઈવ સપોર્ટ સિસ્ટમ પર છે. આખો દેશ તેમના માટે પ્રાર્થના કરી રહ્યો છે.