નરેન્દ્ર મોદીએ વારાણસી સ્પીચમાં શું ઇશારાઓ કર્યા? એક વિશ્લેષણ
ગાંધીનગર, 24 એપ્રિલ : આજે 24 એપ્રિલ, 2014 ગુરુવારે વારાણસીમાં એક ઐતિહાસિક કહી શકાય તેવો નજારો જોવા મળ્યો હતો. નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2014ને માટે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. મોદીએ પોતાની ઉમેદવારી નોંધાવી એ પહેલા લગભગ 2 કિલોમીટર લાંબી રેલી યોજી હતી. વારાણસીના ઇતિહાસમાં આ પહેલા કોઇ ઉમેદવારે આવો માહોલ સર્જ્યો નથી.
વિમાનમાં વારાણસી એરપોર્ટ પર પહોંચ્યા બાદ, તેઓ હેલીકોપ્ટર મારફતે બનારસ હિન્દુ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા.તેઓ પંડીત મદન મોહન માલવીયની પ્રતિમાને, સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મોદીના સ્વાગત માટે હજારોની સંખ્યામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા.
નરેન્દ્ર મોદી કલેક્ટર ઓફિસ પહોંચ્યા ત્યારે અન્ય ઉમેદવારો પહેલા પહોંચી ગયા હોવાથી કલેક્ટરને ઉમેદવારીપત્ર સુપરત કરવા માટે રાહ જોવી પડી હતી. આ સમયનો ઉપયોગ કરીને નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત મીડિયા સાથે વાત ચીત કરી હતી.
આ નાનકડી સ્પીચમાં નરેન્દ્ર મોદીએ અનેક મુદ્દાઓ સાંકળી લીધા હતા. તેમણે જે મુદ્દાઓ સાંકળ્યા તેનો ગુઢાર્થ શું હતો? નરેન્દ્ર મોદીએ પોતાની સ્પીચમાં કોને ટાર્ગેટ કર્યા છે? અને નરેન્દ્ર મોદી પોતાની સ્પીચમાં ના કહીને પણ જે બાબતોનો સંકેત આપ્યો છે તે શું છે તેનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં ઉમેદવારીપત્ર ભરતા પહેલા આપેલી નાનકડી સ્પીચમાં અનેક સંકેતો આપ્યા છે, શું છે આ સંકેતો તેનું વિશ્લેષણ કરીએ...

મને તો મા ગંગાએ બોલાવ્યો છે...
...મને અહીં આવ્યા પહેલા એવું લાગ્યું હતું કે ભાજપે મને અહીંયા મોકલ્યો છે, હવે આવીને લાગે છે કે મને કોઈએ મોકલ્યો નથી, મને લાગે છે કે માતા ગંગાએ મને બોલાવ્યો છે.જે રીતે એક બાળક પોતાની માતાના ખોળામાં પાછો આવે છે, તેવી અનૂભૂતિ મને થઈ રહી છે. ભગવાન મને સેવા કરવાની શક્તિ આપે. કાશીને આધ્યાત્મિક રાજધાની બનાવવી છે...
ગુઢાર્થ : હિન્દુ મતો મેળવવાનો એક પ્રયાસ. વારાણસીની જનતા તેમને ચૂંટે તે માટેની અપીલ

વડનગરમાં મારો જન્મ...
...હું જ્યાં જન્મયો તે વડનગર શિવભક્તોની નગરી છે.ચાઈનીઝ ફીલોસોફર હ્યુ એન સાંગે લખ્યું છે કે તે સમયે બૌધ્ધ ભિક્ષુકોની હોસ્ટેલ ત્યાં હતી. આથી મારો બુધ્ધ સાથે લગાવ જન્મથી છે. વડનગરની નાગર જ્ઞાતિ વારાણસીમાં મોટી માત્રામાં છે...
ગુઢાર્થ : હિન્દુ મતદારોનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન. બૌદ્ધ ધર્મના મતદારોને અપીલ. નાગર એટલે બ્રાહ્મણોના મતો મેળવવાની અપીલ. ઇતિહાસ સાથે લગાવનો સંકેત. ભૂતકાળને સાથે રાખીને આગળ વધવાની ઇચ્છા.

વડોદરા અને ડૉ. આંબેડકરનું કનેક્શન...
...વડોદરા મારું કાર્યક્ષેત્ર હતું.મહારાજા સયાજીરાવ ગાયકવાડ ના હોત તો દેશને ડો.આંબેડકર ના મળત.આ ધરતી ભોલેબાબાની ધરતી છે...
ગુઢાર્થ : વારાણસીથી ફોર્મ ભરવા છતાં વડોદરાની સાથે સંપર્કનો સંકેત, વડોદરાના મતદારોને પોતીકાપણાનો સંદેશ, ડૉ. આંબેડકરને સાંકળીને દલીત મતદારોને રીઝવવાનો પ્રયાસ.

વારાણસીના વણકરોનું ઉત્થાન...
...જે રીતે ગુજરાતમાં મુસ્લિમોના પ્રભુત્વવાળા પતંગ ઉદ્યોગોનો વિકાસ કર્યો છે અને તે જ રીતે કાશીના વણકરોના સાડી બનાવવાના વ્યવસાયનો વિકાસ પણ કરીશું.કાશીના વણકરો ચીન સાથે સ્પર્ધા કરશે...
ગુઢાર્થ : વારાણસીમાં મુસ્લિમ મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. મોટા ભાગના મુસ્લિમો વણકર છે. આ કારણે તેમને રીઝવવાનો એક પ્રયાસ.

ક્રાંતિની હાકલ
પોતાની ટ્વીટમાં મોદીએ લખ્યું છે કે...વારાણસી માટે ગંગા જીવનરેખા છે.વારાણસીનુ અસ્તિત્વ તો ઈતિહાસ અને પરંપરા કરતા પણ પ્રાચીન છે.વારાણસીને નવેસરથી સજાવવાની જરૂર છે...
ગુઢાર્થ : પ્રાચીન વારાણસીને આધુનિક બનાવવા માટે પોતાને મત આપીને જીતાડવાની વારાણસીના નાગરિકોને અપીલ.

પ્રતિમાઓને પુષ્પાંજલિ...
નરેન્દ્ર મોદીએ વારાણસીમાં પંડિત મદન મોહન માલવીયની પ્રતિમાને, સરદાર પટેલની પ્રતિમાને અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ હકી હતી.
ગુઢાર્થ :
પંડિત મદન મોહન માલવીય - હિન્દુ રાષ્ટ્રવાદના પ્રણેતા અને શિક્ષણવિદ
સરાદાર પટેલ - દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક
સ્વામી વિવેકાનંદ - યુવા શક્તિની ચેતના અને શક્તિના પ્રતીક












Click it and Unblock the Notifications
