૧૪૧ કિમી ઓખા-કાનાલુસ રેલ્વે લાઇન ડબલિંગ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના 2,781 કરોડના બે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આમાં 141 કિલોમીટરના દેવભૂમિ દ્વારકા (ઓખા)–કાનાલુસ રેલવે લાઇનના ડબલિંગ અને મહારાષ્ટ્રમાં બદલાપુર–કર્જત (32 કિલોમીટર) સેક્શન પર ત્રીજી અને ચોથી લાઇન નાખવાનો સમાવેશ થાય છે.
આ બંને પ્રોજેક્ટ્સ મહારાષ્ટ્ર અને ગુજરાતના ચાર જિલ્લાઓને આવરી લેશે અને ભારતીય રેલવે નેટવર્કમાં લગભગ 224 કિલોમીટરનો વધારો કરશે. આ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટથી અંદાજે 585 ગામડાઓમાં કનેક્ટિવિટી વધશે, જેની કુલ વસ્તી લગભગ 32 લાખ લોકોની છે.

કાનાલુસ–ઓખા (દેવભૂમિ દ્વારકા) સેક્શનના બેવડાકરણ પાછળ આશરે 1,457 કરોડનો ખર્ચ થશે. આનાથી દ્વારકાધીશ મંદિર સુધીની કનેક્ટિવિટી સુધરશે, જે એક મુખ્ય યાત્રાધામ છે અને સૌરાષ્ટ્ર પ્રદેશના સર્વાંગી વિકાસમાં ફાળો આપશે.
બદલાપુર–કર્જત સેક્શન મુંબઈ ઉપનગરીય કોરિડોરનો ભાગ છે. અહીં ત્રીજી અને ચોથી લાઇનનો પ્રોજેક્ટ ઉપનગરીય કનેક્ટિવિટી સુધારશે, ભવિષ્યની મુસાફરોની માંગને પહોંચી વળશે અને દક્ષિણ ભારત સાથેના જોડાણોને મજબૂત બનાવશે.
આ પ્રોજેક્ટ્સ પીએમ ગતિ-શક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ આયોજિત છે, જેનો મુખ્ય હેતુ સંકલિત આયોજન અને હિતધારકો સાથેના પરામર્શ દ્વારા મલ્ટીમોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવાનો છે. આ પહેલોનો ઉદ્દેશ્ય લોકો, માલસામાન અને સેવાઓની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે.
આ માર્ગ કોલસો, મીઠું, કન્ટેનર, સિમેન્ટ, પેટ્રોલિયમ ઉત્પાદનો વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ક્ષમતામાં વૃદ્ધિથી વાર્ષિક વધારાનો 18 મિલિયન ટન (MTPA) માલસામાન ટ્રાફિક શક્ય બનશે. રેલવે પર્યાવરણને અનુકૂળ અને ઉર્જા-કાર્યક્ષમ પરિવહન માધ્યમ હોવાથી આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય આબોહવા લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરશે, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડશે, 3 કરોડ લિટર તેલની આયાત ઓછી કરશે, અને 16 કરોડ કિલો CO₂ ઉત્સર્જન ઘટાડશે, જે 64 લાખ વૃક્ષોના વાવેતર બરાબર છે.
નવી મંજૂરી સાથે અમદાવાદ–ઓખા માર્ગ સંપૂર્ણપણે બેવડા ટ્રેકવાળો બનશે. આ નવી મંજૂરીથી ડબલ રેલવે લાઇન સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દ્વારકાના પવિત્ર શહેર થઈને સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડા સુધી પહોંચશે, કારણ કે અમદાવાદ–રાજકોટ માર્ગ સુરેન્દ્રનગર થઈને પહેલેથી જ બેવડો છે, જ્યારે રાજકોટ–કાનાલુસ (111.20 કિલોમીટર) સેક્શનની ક્ષમતા વધારવા માટે હાલમાં બેવડાકરણનું કામ ચાલી રહ્યું છે. હવે કાનાલુસ–ઓખા બેવડાકરણ સાથે, અમદાવાદ–ઓખા રેલવે માર્ગની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.












Click it and Unblock the Notifications
