Army Day 2023 : પહેલીવાર દિલ્હી બહાર સેના દિવસની ઉજવણી, બેંગ્લોરમાં સેના જનરલે આપ્યો આ સંદેશ
ગત વર્ષમાં સેનાએ સુરક્ષા પડકારોનો દ્રઢ નિશ્ચય સાથે સામનો કર્યો અને સરહદોની સક્રિય અને મજબૂત સુરક્ષા સુનિશ્ચિત કરી છે. સેનાએ ક્ષમતા વિકાસ, બળ પુનઃસંગઠન અને તાલીમમાં સુધારો કરવા માટે પગલાં લીધાં હતા.
Army Day 2023 : દેશમાં આજે સેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે પહેલીવાર દિલ્હી બહાર બેંગ્લોરમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જનરલ મનોજ પાંડે બેંગ્લોરના ગોવિંદસ્વામી પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે જનરલ મનોજ પાંડેએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું.
આર્મી ચીફે જણાવ્યું હતું કે, પ્રથમ વખત આર્મી ડે પરેડ અને તેનાથી સંબંધિત અન્ય કાર્યક્રમો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની બહાર યોજવામાં આવી રહ્યા છે. તેનાથી સેનાને લોકો સાથે જોડાવાની સુવર્ણ તક મળી છે. મને ખાતરી છે કે, આ અમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે.
સેનાએ તમામ પ્રકારના પડકારોનો નિશ્ચય સાથે સામનો કર્યો છે - આર્મી ચીફ
આર્મી ચીફે જણાવ્યું હતું કે, ગત વર્ષમાં સેનાએ સુરક્ષા પડકારોનો દ્રઢ નિશ્ચય સાથે સામનો કર્યો અને સરહદોની સક્રિય અને મજબૂત સુરક્ષા સુનિશ્ચિત કરી છે.
સેનાએ ક્ષમતા વિકાસ, બળ પુનઃસંગઠન અને તાલીમમાં સુધારો કરવા માટે પગલાં લીધાં હતા. આ સાથે સાથે ભવિષ્યના યુદ્ધો માટેની તેમની તૈયારીઓને વધુ મજબૂત બનાવી છે.
આપણી સેના કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે - આર્મી ચીફ
આપણી સેના કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે. સરહદ પર આતંકવાદી ષડયંત્ર હજૂ પણ ચાલુ છે, પરંતુ આપણા જવાનોદરેક ખૂણા પર નજર રાખી રહ્યા છે. આર્મી ચીફે જણાવ્યું હતું કે, પૂર્વોત્તરમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો થયો છે.
ઉત્તર સરહદી વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય છે : આર્મી ચીફ
આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ જણાવ્યું હતું કે, ઉત્તર સરહદી વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય છે. LAC પર મજબૂત સંરક્ષણ જાળવી રાખીને, અમે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. જવાનોને તમામ પ્રકારના શસ્ત્રો, સાધનસામગ્રી અને સુવિધાઓ પૂરતી માત્રામાં આપવામાં આવી રહી છે.
દરેક ભારતીયને આપણી સેના પર ગર્વ છે - વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ આર્મી ડેના અવસર પર ભારતીય સેનાના વખાણ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સૈનિકોએ હંમેશા દેશને સુરક્ષિત રાખ્યો છે. કટોકટીના સમયમાં તેમની સેવા માટે તેમની વ્યાપક પ્રશંસા થાય છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે કે, આર્મી ડે પર હું તમામ સૈન્ય જવાનો, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને મારી શુભેચ્છાઓ આપું છું. દરેક ભારતીયને આપણી સેના પર ગર્વ છે. તેઓએ હંમેશા આપણા દેશને સુરક્ષિત રાખ્યો છે.
શા માટે ઉજવવામાં આવે છે આર્મી ડે?
ફિલ્ડ માર્શલ કેએમ કરિઅપ્પાએ 15 જાન્યુઆરી, 1949ના રોજ તેમના બ્રિટિશ પુરોગામી પાસેથી ભારતીય સેનાના પ્રથમ ભારતીયકમાન્ડર-ઇન-ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, તેની યાદમાં આર્મી ડે ઉજવવામાં આવે છે.