કેજરીવાલ ભારતીય રાજકારણના નબળા ખેલાડી : પ્રીતિ ઝિન્ટા
વારાણસી, 2 મે : બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અંગે જણાવ્યું છે કે તેઓ ભારતીય રાજકારણના નબળા ખેલાડી છે. પ્રીતિ ઝિન્ટાએ એમ પણ જણાવ્યું કે કેજરીવાલ કદાચ પોતે જ નથી જાણતા કે તેઓ શું કરવા માંગે છે.
આજ કાલ પ્રીતિ ઝિન્ટા વારાણસીમાં છે. તેમણે જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ એક જ દિવસમાં બધુ કરી દેવા માંગે છે. આવું કરવું ક્યારેય શક્ય નથી. દિલ્હીની જનતાએ જ્યારે તેમને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા તો તેમણે થોડું કામ કરવું જોઇતું હતું. પીઠ બતાવીને ભાગવું ઠીક ના કહી શકાય.
જો કે પ્રીતિ ઝિન્ટા ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદથી ખુશ છે. વારાણસીના પ્રવાસે આવેલી પ્રીતિ ઝિન્ટાએ શુક્રવારે સવારે કાશી વિશ્વનાથ મહાદેવ તથા સંકટ મોચન મંદિરમાં દર્શન કર્યા બાદ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.
પ્રીતિ ઝિન્ટાએ તેમના વિશે જણાવ્યું કે વર્તમાન સમયમાં દેશને એવા રાજકારણીની જરૂર છે, જે સૌને સમજી શકે. આવા રાજકારણીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી છે. દેશમાં ખરો વિકાસ ગુજરાતમાં થયો છે. અમે શુટિંગ કરવા માટે દેશભરમાં ફરીએ છીએ. તેમાં ગુજરાત બધાથી અલગ પડે છે. જે વ્યક્તિ સારું કામ કરે છે તેની પ્રશંસા થવી જોઇએ.