પાક. મીડિયાની નજરમાં સૌથી પ્રભાવહીન નેતા છે કેજરીવાલ
નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: પોતાની સફળતાથી આખી દુનિયાને આશ્ચર્યમાં મૂકી દેનાર આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અંગે પાક મીડિયાનું કહેવું છે કે તેઓ એક પ્રભાવહીન નેતા છે. પાક સમાચાર પત્ર 'ધ ન્યૂઝ ડેલી' લખે છે કે કેજરીવાલ આમ આદમીની રાજનીતિથી ભરપૂર છે પરંતુ ઇન્ડિયા શાઇનિંગ જેવા સપના જોનાર આ નેતા પ્રભાવહીન સાબિત થઇ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે કેજરીવાલને મળવા માટે પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ આવ્યું હતું. જ્યારે તેમણે કેજરીવાલને જીતની શુભેચ્છા પાઠવી તો કેજરીવાલે જણાવ્યું કે 'બધી અલ્લાહની મહેરબાની છે, અમે તો ખૂબ જ નાના માણસો છીએ.'
કેજરીવાલને જ્યારે ભારત પાકિસ્તાન સંબંધો અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે આખી દુનિયામાં ભારતના સંબંધો સારા હોય અને શાંતિપૂર્ણ હોય, સાથે સાથે તેમણે જણાવ્યું કે હું ક્યારેય પાકિસ્તાન નથી ગયો અને ક્યારેય ભારત-પાકિસ્તાનના સંબંધોનું અધ્યયન નથી કર્યું. જ્યારે તેમને ભારપૂર્વક આ પ્રશ્ન અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે તે મારા અધિકાર ક્ષેત્રની બહાર છે.
અત્રે નોંધનિય છે કે કેજરીવાલ અને તેમની પાર્ટીની ચર્ચા દિલ્હી ચૂંટણી પરિણામ આવ્યા પહેલાથી થઇ રહી હતી, અને તે આખા દેશમાં ખરાબ સિસ્ટમથી જનતાને છૂટકારો અપાવવાના સપનાને લઇને આવ્યા છે.