સપા-બસપા સાથે ગઠબંધન કરવા અંગે ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 2022 માટે રાજકીય પક્ષો જોરશોરથી પોતાનો પ્રચાર કરી રહ્યા છે. AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી, જેમણે 100 બેઠકો પર લડવાની જાહેરાત કરી છે, તેમને મંગળવારના રોજ પાટનગર લખનઉ પહોંચ્યા હતા.
લખનઉ : ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 2022 માટે રાજકીય પક્ષો જોરશોરથી પોતાનો પ્રચાર કરી રહ્યા છે. AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી, જેમણે 100 બેઠકો પર લડવાની જાહેરાત કરી છે, તેમને મંગળવારના રોજ પાટનગર લખનઉ પહોંચ્યા હતા. આ દરમિયાન પત્રકાર પરિષદમાં તેમણે ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં સપા-બસપા સાથે ગઠબંધનના સવાલ પર કહ્યું કે, પહેલા ગઠબંધન માટે સપા-બસપાને અમારી પાસે આવવા તો દો. ઓવૈસીએ કહ્યું, અમે તેમની સાથે વાત કરવા તૈયાર છીએ. તેમને પહેલા વાત કરવા આવવા તો દો.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, અમારું લક્ષ્ય ઉત્તર પ્રદેશમાંથી ભાજપને હરાવવાનું છે. ઉત્તરપ્રદેશમાંથી AIMIM ધારાસભ્ય બનવાનો અમારો પ્રયાસ રહેશે. અમે કહ્યું છે કે, 100 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરવામાં આવી રહી છે, અમે 100 બેઠકથી આગળ પણ વધી શકીએ છીએ. ઓબીસી અનામતના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, ભારતને આઝાદી મળ્યાને 70 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, તો ઓબીસી સમાજની ગણતરી થવી જોઈએ. આપણે 50 ટકા વસ્તીને માત્ર 27 ટકા જ અનામત કેમ આપી રહ્યા છીએ અને જે 20 ટકા છે, તેમને 50 ટકા અનામત મળી રહી છે? જ્યારે SC/ST, હિન્દુ, બિન હિન્દુ ગણતરીમાં લખવામાં આવે છે, ત્યારે આ પણ થવું જોઈએ.
ઓવૈસીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા
તમને જણાવી દઈએ કે, AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ યુપીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંગળવારના રોજ યુપીનો પ્રવાસ શરૂ કર્યો હતો. આ દરમિયાન પૂર્વ સાંસદ અતીક અહમદની પત્ની શાઇસ્તા પરવીન AIMIM માં જોડાયા હતા. અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ઓવૈસીએ જણાવ્યું હતું કે, મુઝફ્ફરનગર રમખાણોમાં જે નેતાઓના નામ આવ્યા હતા તેમની સામે કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામેના કેસ પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જે કારણે પ્રજ્ઞા ઠાકુર અને કુલદીપ સેંગર જેવા નેતાઓ લોકપ્રિય થશે. તેમ છતા અતીક અહેમદ અથવા મુખ્તાર અંસારીને બાહુબલી કહેવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 8 સપ્ટેમ્બરના રોજ સુલતાનપુરમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે છે. જે બાદ પ્રવાસના અંતિમ દિવસે એટલે કે, 9 સપ્ટેમ્બરના રોજ ઓવૈસી બારાબંકી જશે. રાજકારણમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, સીટ વહેંચણી અંગે સર્વસંમતિના અભાવે ઓવૈસીએ સયુંકત મોરચાના બેનર હેઠળ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. આ કારણોસર ઓમપ્રકાશ રાજભરે પણ ઓવૈસીની બેઠકથી પોતાને દૂર રાખ્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ ચંદ્રશેખર સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. ઓમપ્રકાશ રાજભરે પણ આ બેઠકમાં હાજરી આપી હતી.