સોનાના ખજાનાની ટાંય ટાંય ફિશ : ASIએ બંધ કર્યું ખોદકામ
ઉન્નાવ, 29 ઓક્ટોબર : ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના ડોંડિયા ખેડામાં છેલ્લા 16 દિવસથી સોનાના ખજાનાની શોધમાં ચાલી રહેલા ખોદકામને હવે બંધ કરવામાં આવશે. એએસઆઇ અને કિલ્લાના સત્તાવાળાઓએ હવે સોનુ મળવાની આશા ટાંય ટાંય ફિશ થઇ હોવાથી ખોદકામ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સ્થાનિક સાધુ શોભન સરકારને આવેલા સપના બાદ સોના માટે અહીં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું.
આ અંગે પુરાતત્વ વિભાગેનું કહેવું છે કે ડોંડિયા ખેડામાં દસ દિવસના ખોદકામ બાદ સોનું હોવાના કોઈ જ સંકેત નથી. આથી આ ખોદકામ બંધ કરવાનો નિર્ણય પૂરાતત્વ વિભાગે કર્યો છે. અગાઉ કેન્દ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના ડોડિયાખેડા ગામના એક કિલ્લાના કાટમાળ નીચે કથિતપણે દટાયેલું 1000 ટન સોનું શોધવા માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા શરૂ કરાયેલા ખોદકામ અંગે ખુલાસો કર્યો હતો કે આ ખોદકામ કોઈ સાધુના સપનાના આધારે નહીં, પણ પુરાવાના આધારે હાથ ધરવામાં આવ્યું છે. અમુક હકીકતો મેળવાયા બાદ ખોદકામ શરૂ કરાયું છે.
ઉન્નાવના રાજા રામબક્ષ સિંહે 1857માં બ્રિટિશ શાસકો વિરુદ્ધના બળવામાં ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ સાથે મળીને જંગ ખેલ્યો હતો. જોકે તે દરમિયાન રામબક્ષ સિંહને ગાદી પરથી ઉથલાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ એ ભૂગર્ભમાં ચાલી ગયા હતા. બાદમાં એ વારાણસીમાંથી પકડાયા હતા અને તેમને બ્રિટિશરોએ ફાંસીની સજા કરી હતી.
જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ આપેલા અહેવાલના આધારે ગામમાં રાજા રાવ રામબક્ષ સિંહના 19મી સદીના કિલ્લામાં સોનું શોધવા ખોદકામ શરૂ કરાયું હતું. શોભન સરકારે એવો દાવો કર્યો હતો કે તેમને એક સપનું આવ્યું હતું જેમાં એક રાજાએ તેમને જણાવ્યું કે ડોડિયાખેડા ગામમાં ભૂતપૂર્વ રાજા રામબક્ષ સિંહના 19મી સદીના કિલ્લાના કાટમાળ નીચે 1000 ટન સોનું દટાયેલું પડ્યું છે.
સાધુ શોભન સરકારે સોનું દટાયું હોવા વિશે પોતાને આવેલા સપનાની જાહેરાત કરી ત્યારબાદ કેન્દ્રના ફૂડ પ્રોસેસિંગ ખાતાના પ્રધાન ચરણદાસ મહંત તેમને મળ્યા હતા અને તે પછી જ એએસઆઈ તથા જીએસઆઈ દ્વારા ખોદકામ શરૂ કરાવાયું હતું.