બિહારમાં નક્સલીઓનો ખૂની ખેલ, સ્ટેશન પર લગાવી આગ
નક્સલીઓએ પટનાના એક રેલ્વે સ્ટેશન પર હુમલો કરીને બે લોકોનું અપહરણ કર્યું છે. જાણો આ અંગે વધુ અહીં
બિહારમાં નક્સલીઓએ ફરી એક વાર રેલ્વે સ્ટેશનને નિશાને લગાવ્યું છે. પટના પાસે મસૂદન રેલ્વે સ્ટેશન પર નક્સલિઓએ હુમલો કરીને તમામ સંપત્તિને આગ લગાવી છે. અને તેના બે અધિકારીઓને બંધક પણ બનાવ્યા છે. સહાયક સ્ટેશન માસ્ટર મુકેશ કુમાર અને પોર્ટર નરેન્દ્ર મંડલનું નક્સલીઓએ અપહરણ કર્યું છે. નોંધનીય છે કે નક્સલિઓએ 20 ડિસેમ્બરે બિહાર ઝારખંડ બંધની જાહેરાત કરી હતી. અને આ જાહેરાત પહેલા જ નક્સલીઓએ ઉત્પાત કરવા માટે મોડી રાતે કિઉલ ભાગલપુર રેલખંડ પર આવેલ મસુદન સ્ટેશન કેબિન પેનલમાં આગ લગાવી હતી.
આ ઘટના પછી આ રેલ્વે લાઇન બંધ કરવામાં આવી છે. વધુમાં વિરેન્દ્ર કોડા જે જૂનો નક્સલી રહી ચૂક્યો છે તેના મૃતદેહને પણ ગોળી મારીને જંગલમાં તેના શબને ફેંકી દેવામાં આવ્યો છે. નક્સલીઓને શક હતો કે તે હવે પોલીસ ખબરી બની ગયો છે.વધુમાં નક્સલીઓએ ફોન કરીને સહાયક સ્ટેશન માસ્ટરને મારી નાખવાની વાત પણ કરી. સાથે નક્સલીઓએ મસૂદન ટ્રેક પર ટ્રેનની યાતાયાત બંધ કરવાની માંગણી પણ કરી છે. જો કે હાલ તો ટ્રેનોની અવર જવરને રોકી દેવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા 3 ઓગસ્ટે પણ નક્સલીઓએ ટ્રેનને હાઇજેક કરી હતી. અને બે કેબિન કર્મચારીઓનું અપહરણ કર્યું હતું. ત્યારે હાલ પોલીસે બચાવ કામગીરી શરૂ કરી છે.