નહેરુની ‘અટલ' ભવિષ્યવાણી અને વાજપેયીના એ શબ્દ જે ઈતિહાસ બની ગયા
વાજપેયી વિશે નહેરુએ કહ્યુ હતુ, ‘આ યુવક એક દિવસ દેશનો પ્રધાનમંત્રી બનશે.' નહેરુની આ ભવિષ્યવાણી એકદમ સાચી સાબિત થઈ.
અટલ બિહારી વાજપેયીએ જીવનભર કોંગ્રેસ વિરોધી રાજનીતિ કરી. તેમણે દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની નીતિઓની આકરી ટીકા કરી. ઘણા પ્રસંગે વાજપેયી તેમની પ્રશંસા પણ કરતા હતા. વાજપેયીએ જ્યારે પહેલી વાર સંસદ પહોંચ્યા તો તેમણે સરકારને ઘણા મોરચે ઘેરી. વિદેશી બાબતો પર તેમની ઉંડી સમજ, ખૂબ જ શાનદાર હિંદી અને મંત્રમુગ્ધ કરતી ભાષણ શૈલી જોઈને પંડિત નહેરુ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. તે વખતે વાજપેયી વિશે નહેરુએ કહ્યુ હતુ, 'આ યુવક એક દિવસ દેશનો પ્રધાનમંત્રી બનશે.' નહેરુની આ ભવિષ્યવાણી એકદમ સાચી સાબિત થઈ.
નહેરુ અને વાજપેયી સાથે જોડાયેલા ઘણા સંયોગ
નહેરુ અને વાજપેયી વચ્ચે અલગ જ સંબંધ હતો. કોંગ્રેસ પક્ષ અને દેશના પહેલા પ્રધાનમંત્રી બનવાનું સૌભાગ્ય નહેરુને મળ્યુ તો વાજપેયી પણ ભાજપના પહેલા પીએમ બન્યા અને પહેલા એવા બિનકોંગ્રેસી પ્રધાનમંત્રી રહ્યા જેમણે 6 વાર લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યો. વાજપેયીનું વધુ એક કનેક્શન નહેરુ સાથે છે. વાજપેયીએ પહેલી વાર 1955 માં લખનઉથી ચૂંટણી લડી હતી. આ સીટ પંડિત નહેરુની બહેન વિજયાલક્ષ્મી પંડિતના રાજીનામા બાદ ખાલી થઈ હતી. જો કે તે આ ચૂંટણીમાં હારી ગયા હતા પરંતુ તેમની ભાષણશૈલીની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી હતી. બે વર્ષ બાદ 1957 માં વાજપેયીએ ત્રણ લોકસભા સીટો પરથી ઉમેદવારી નોંધાવી. બલરામપુરથી તે જીતી ગયા, મથુરામાં તેમની જમાનત જપ્ત થઈ જ્યારે લખનઉમાં તેમને સારા એવા મત મળ્યા પરંતુ જીતી શક્યા નહિ.
જ્યારે વિદેશમંત્રી બન્યા વાજપેયી તો નહેરુનો ફોટો અંગે કહી આ વાતો
ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના જણાવ્યા અનુસાર 1977 માં મોરારજી દેસાઈની સરકારમાં વાજપેયી વિદેશ મંત્રી બન્યા હતા. તેઓ ચાર્જ લેવા જ્યારે સાઉથ બ્લોક સ્થિત ઓફિસમાં પહોંચ્યા તો પોતાના સચિવને કહ્યુ, ‘મને યાદ છે જ્યારે પહેલા હું આ ઓફિસમાં આવ્યો હતો ત્યારે અહીં પંડિતજીનો ફોટો લાગેલો હતો. તે ફોટો ક્યાં ગયો? એ ફોટાને પાછો લગાવી દો.' અધિકારીઓએ નહેરુનો ફોટો એ વિચારીને હટાવી દીધો હતો કે ક્યાંક વાજપેયી નારાજ ના થઈ જાય.
નહેરુના મૃત્યુ પર વાજપેયીના એ શબ્દ જે ઈતિહાસ બની ગયા
વાજપેયી પ્રખર વક્તા હતા. સરકારની ભૂલોને તે તથ્યો સાથે સંસદમાં મૂકતા હતા અને આ એ રીતે મૂકતા કે સત્તા પક્ષ જવાબ નહોતા આપી શકતા. પોતાના પ્રારંભિક રાજકીય જીવનમાં વાજપેયીએ નહેરુ અને કોંગ્રેસ બંનેની ખૂબ ટીકા કરી પરંતુ 1964 માં નહેરુના મૃત્યુ બાદ વાજપેયીએ સંસદમાં એવુ ભાષણ આપ્યુ જે ઈતિહાસ બની ગયુ. પક્ષોની રાજનીતિમાંથી ઉપર ઉઠીને રાજનીતિ કેવી રીતે કરી શકાય તેનું વાજપેયીએ મોટુ ઉદાહરણ રજૂ કર્યુ. વાજપેયીએ કહ્યુ, ‘પંડિતજીનું મૃત્યુ દેશ માટે એવુ છે જેમ કોઈ સપનુ અધુરુ છૂટી ગયુ હોય, જેમ કોઈ ગીત ચૂપ થઈ ગયુ હોય, તેમનું મૃત્યુ માત્ર પરિવાર કે કોઈ પક્ષ માટે ખોટ નથી પરંતુ સમગ્ર દેશ માટે દુઃખની વાત છે.'
આ પણ વાંચોઃ ન રહ્યા અટલ બિહારી વાજપેયી, સમગ્ર દેશમાં શોકની લહેર