બાબરી ધ્વંસ પૂર્વનિયોજિત; અડવાણી, નરસિંહ રાવને હતી જાણ : કોબ્રાપોસ્ટ
નવી દિલ્હી, 4 એપ્રિલ : ચૂંટણીનો પ્રથમ તબક્કો શરૂ થવાના બે દિવસ પહેલા કોબરાપોસ્ટના સ્ટિંગ ઓપરેશનમાં ઘટસ્ફોટ કરાયો છે કે બાબરી ધ્વંસ પૂર્વયોજિત હતો અને તેની જાણ અડવાણી અને તત્કાલીન પીએમ નરસિંહ રાવને પણ હતી. આ ઘટસ્ફોટને પગલે લોકસભા ચૂંટણી 2014 પૂર્વે ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે.
અયોધ્યામાં વિવાદાસ્પદ માળખાની રચનાનો મુદ્દો મોદી ભાજપના ચૂંટણી ઢંઢેરામાંથી દૂર કરાવી રહ્યા છે. ત્યારે કોબ્રાપોસ્ટના સ્ટિંગ ઓપરેશનમાં થયેલા ખુલાસા પ્રમાણે વિવાદિત માળખાને યોજનાબદ્ધ રીતે પાડી નાંખવામાં આવ્યું હતું. પહેલા એવું કહેવામાં આવતું હતું કે આ ઘટના સ્વયંસ્ફૂર્ત હતી અને તેના માટે કોઇ યોજના બનાવવામાં નહોતી આવી.
ઓપરેશન રામ જન્મભૂમિ નામથી કરાયેલા સ્ટિંગમાં આરોપ મૂકાયો છે કે બાબરી મસ્જિદને યોજનાબદ્ધ રીતે તોડવામાં આવી અને તેની માહિતી લાલકૃષ્ણ અડવાણી અને ઉત્તર પ્રદેશના તત્કાલિન મુખ્યપ્રધાન કલ્યાણસિંહ સહિત ભાજપ અને સંઘના વરિષ્ઠ નેતાઓને પણ હતી. સ્ટીંગમાં એક નેતાના હવાલાથી એવું પણ કહેવાયું છે કે માળખું પાડી દેવાયા બાદ ડાયનામાઇટ પણ લઇ જવાયું હતું.

કોબરાપોસ્ટના સ્ટિંગ ઓપરેશનમાં થયેલા ઘટસ્ફોટ પ્રમાણે રામ મંદિર ચળવળ દરમિયાન ઉત્તર પ્રદેશમાં કાર સેવકો પર કરાયેલો ગોળીબાર સુનિયોજિત યોજનાનો જ એક ભાગ હતો. તેની પાછળ કથિત રીતે એવી રણનીતિ હતી કે જો અમુક હિંદુઓનાં મોત થાય તો તેનાથી રામ મંદિર મુદ્દાને વધારે હવા મળશે.
કોબરા પોસ્ટે આ સ્ટિંગ માટે રામ મંદિર સાથે જોડાયેલી 23 મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે વાત કરી હતી અને ગુપ્ત રીતે તેને રકોર્ડ કરી. આ લોકોમાં સાક્ષી મહારાજ, આચાર્ય ધર્મેન્દ્ર, ઉમા ભારતી, મહંત વેદાંતી અને વિનય કટિયાર જેવા નામ સામેલ છે. આ સ્ટિંગમાં એવી પણ વાત સામે આવી છે કે વીએચપીએ તેના કાર્યકરોને અમદાવાદના સરખેજમાં તાલીમ આપી હતી.
ભાજપના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ આજે એક પ્રેસકોન્ફરેન્સમાં આ સ્ટિંગ પર વિરોધ દર્શાવ્યો. તેમણે કહ્યું કે આ સ્ટિંગના પ્રસારણને અટકાવવાની માગ કરી. આ સાથે તેમણે સ્ટિંગને કોંગ્રેસનું કાવતરું ગણાવ્યું. નકવીએ જણાવ્યું કે જો આ સ્ટિંગનું પ્રસારણ બંધ નહી કરાય તો દેશમાં કોમી માહોલ તંગ બની શકે છે. આ સાથે તેમણે સ્ટિંગ ઓપરેશનને ચૂંટણી પર્વે કરવામાં આવ્યું હોય તેના સમય પર પણ પ્રશ્નાર્થ કર્યો હતો.












Click it and Unblock the Notifications
