ભગવંત માન સરકારની મોટી કાર્યવાહી, મનીષા ગુલાટીને પંજાબ મહિલા પંચના ચેરમેન પદેથી હટાવ્યા
પંજાબ મહિલા પંચના ચેરમેન પદેથી મનીષા ગુલાટીને માન સરકાર દ્વારા હટાવી દેવામાં આવ્યા છે. અહીં જાણો શું છે કારણ.
પંજાબ સરકાર દ્વારા એક મોટી કાર્યવાહીમાં મનીષા ગુલાટીને પંજાબ મહિલા આયોગના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે 18 સપ્ટેમ્બર, 2020ના રોજ પંજાબ સરકારે મનીષાને 3 વર્ષનું એક્સટેન્શન આપ્યુ હતુ પરંતુ સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ સરકારી નિયમો હેઠળ એક્સટેન્શનની કોઈ જોગવાઈ નથી. આ કારણસર મનીષા ગુલાટી પાસેથી મહિલા આયોગના અધ્યક્ષનુ પદ પાછુ ખેંચી લેવામાં આવ્યુ છે.
પંજાબ સરકારના આદેશ મુજબ પંજાબ રાજ્ય મહિલા આયોગ એક્ટ 2001માં પંચના વર્તમાન અધ્યક્ષ અથવા સભ્યોના વિસ્તરણને લઈને કોઈ જોગવાઈ નથી. કલમ 4 (1) મુજબ, ચેરમેન માટે માત્ર 3 વર્ષના સમયગાળા માટે હોદ્દો રાખવો ફરજિયાત છે. પંજાબ રાજ્ય મહિલા આયોગના વર્તમાન અધ્યક્ષ અથવા સભ્ય માટે 3 વર્ષથી વધુ સમય વધારવા માટે કાયદામાં કોઈ જોગવાઈ નથી. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે 8 ઓક્ટોબર, 2012ની સૂચના મુજબ, સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી, પંજાબના મુખ્ય સચિવ અને વિભાગના મુખ્ય સચિવની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની સમિતિએ ઉમેદવારોની તપાસ કરવી પડશે.
મેરિટના આધારે તેની ભલામણો મુખ્યમંત્રીને તેમની મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. મુખ્યમંત્રીની મંજૂરી બાદ નિમણૂક પત્ર આપવામાં આવે છે. આદેશમાં કહેવામાં આવ્યુ છે કે 18 સપ્ટેમ્બર 2020ના રોજ પત્ર જાહેર કરતા પહેલા સમિતિના સભ્યો દ્વારા કોઈ ભલામણ કરવામાં આવી ન હતી. આદેશમાં જણાવાયુ છે કે 18-09-2020 ના રોજ પત્ર જાહેર કરતા પહેલા પંજાબ રાજ્યના મહિલા સંગઠન સાથે કોઈ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો નથી, જે પંજાબ રાજ્ય મહિલા આયોગ અધિનિયમ, 2001ની કલમ 2(b) મુજબ ફરજિયાત છે.