ભંડારા રેપ કેસઃ ન્યાય માટે લડતું આખું ગામ
ભંડારા(મહારાષ્ટ્ર), 25 ફેબ્રુઆરીઃ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના શહેર લખની નજીકના ગામ મુરમાડી ગામના લોકોની ધીરજ ખુટી છે અને તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. તેઓ એ માતાને ન્યાય અપાવવા માટે લડી રહ્યાં છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે, જેમણે તાજેતરમાં જ તેમની ત્રણ દિકરીઓને ગુમાવી છે. નોંધનીય છે કે, ત્રણ સગીર બહેનો પર બળાત્કાર ગુજારીને તેમની હત્યા કરવામાં આવી હતી.
આ ઘટનાને 10 દિવસ થઇ હયા છે, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા એક પણ ધરપકડ કરવામાં આવી નથી. આ કેસમાં પોલીસ હજુ દિશાવિહિન છે અને કોણે આ નિંદનીય ગુન્હો કર્યો છે એ સંબંધમાં કોઇ પુરાવા એકઠા કરી શકી નથી. જો કે, પોલીસ દ્વારા આ કેસમાં 10 લોકોની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યાં છે.
નોંધનીય છે કે, ભંડારા જિલ્લાના લખની શહેર નજીક આવેલા મુરમાડી ગામ ખાતેથી 14 ફેબ્રુઆરીના રોજ ત્રણ સગીર બહેનો ઉમર વર્ષ 11, 8 અને 6નું ઉપહરણ કરવામાં આવ્યું હતું, બે દિવસ સુધી આ ત્રણેય બહેનો લાપતા રહ્યાં બાદ તેમનો મૃતદેહ એક કુવામાંથી મળી આવ્યો હતો. પીએમ રીપોર્ટ આવ્યા બાદ તેમના પર બળાત્કાર ગુજારી તેમની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
ભોગ બનનાર સગીરાઓની માતાએ પોલીસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, તેમના મોત માટે પોલીસ જવાબદાર છે, જ્યારે ત્રણેય બહેનો લાપતા થઇ હતી ત્યારે તે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસે ગંભીરતા દાખવી તેના પર તુરત પગલા ભર્યા નહોતા.