રાહુલ ગાંધીને ઈન્દોર પહોંચતા જ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ
રાહુલ ગાંધીને ઈન્દોર પહોંચતા જ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની મધ્યપ્રદેશ પોલીસે ઉજ્જૈનથી ધરપકડ કરી લીધી છે.
Rahul Gandhi Death Threat: રાહુલ ગાંધીને ઈન્દોર પહોંચતા જ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની મધ્યપ્રદેશ પોલીસે ઉજ્જૈનથી ધરપકડ કરી લીધી છે. ગુરુવારે ઉજ્જૈન જિલ્લાના નાગદા વિસ્તારથી ધરપકડ કરીને તેને ઈન્દોર પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. આરોપીની ઓળખ દયા ઉર્ફે પ્યારે ઉર્ફે નરેન્દ્ર સિંહ તરીકે થઈ છે. તેણે કથિત રીતે રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો હતો જેમાં ભારત જોડો યાત્રા માટે ઈન્દોર પહોંચતા જ રાહુલ ગાંધીને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી.
મધ્ય પ્રદેશ પોલીસે આરોપીને પકડવા માટે 200 સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને ઘણા શહેરોની હોટલો, લૉજ અને રેલવે સ્ટેશનો પર રેડ પાડી હતી. આરોપી ઉત્તર પ્રદેશના રાયબરેલીનો રહેવાસી છે. પોલીસે જણાવ્યુ કે તેણે અગાઉ પણ ઘણા લોકોને પત્રો અને ફોન કૉલ દ્વારા ધમકી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઈન્દોરના ખાલસા સ્ટેડિયમમાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં હાજર હતો. જ્યાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ હાજર હતા.
ઉજ્જૈનના એસએસપી સત્યેન્દ્ર કુમાર શુક્લાએ આ કેસની પુષ્ટિ કરી છે અને કહ્યુ છે કે ઈન્દોરની તપાસ ટીમે અમને શંકાના આધારે તે વ્યક્તિ માટે માંગ્યો હતો. અમે તેમને તે સોંપી દીધો છે. આ મામલે ઈન્દોરથી આવનારી તપાસ ટીમ જ કંઈક કહી શકશે. જે કામ અમારુ હતુ તે અમે કર્યુ છે. આરોપી દયા સિંહ રાયબરેલીના છોટી હોસિયાના વિસ્તારનો રહેવાસી છે અને નાગદામાં રહેતો હતો. બાતમીદારની સૂચના પર નાગદા પોલીસે તેને નાગદાની એક રેસ્ટોરન્ટમાંથી જમતી વખતે પકડી લીધો હતો.