અનિલ અંબાણી જૂથને મોટી રાહત, DMRCને સુપ્રીમ કોર્ટે આપ્યો 2800 કરોડ ચૂકવવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે ગુરુવારના રોજ દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રો કેસમાં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે.
નવી દિલ્હી : દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને દેશની સર્વોચ્ચ અદાલત તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારના રોજ દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રો કેસમાં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપતા રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તરફેણમાં 2800 કરોડના આર્બિટ્રલ એવોર્ડને માન્ય રાખ્યો છે. આ ઓર્ડર આવતા જ રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માલિક અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીની તરફેણમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેમની માટે મોટી રાહત લાવ્યો છે. કોર્ટે DMRC ની અરજી ફગાવી દેતા જણાવ્યું કે, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને 2800 કરોડ રૂપિયા રિલાયન્સ ઇન્ફ્રા અને વ્યાજ ચૂકવવું પડશે. કોર્ટના આ નિર્ણયથી હવે અનિલ અંબાણીની કંપનીને કુલ 5800 કરોડ રૂપિયા મળવાની આશા છે, જે અંબાણી પરિવાર માટે મોટી રાહત છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં પણ 5 ટકાનો ઉછાળો આવ્યો છે.
શું સમગ્ર કેસ છે?
આ મામલો દિલ્હી એરપોર્ટ મેટ્રોના નિર્માણ અને સંચાલન માટે બે સંસ્થાઓ વચ્ચે 2008ના કરારથી સંબંધિત છે. જો કે, રિલાયન્સ ઇન્ફ્રા દ્વારા 2012માં કરાર સમાપ્ત કરવામાં આવ્યો હતો. DMRC એ શરૂઆતમાં આ મામલે આર્બિટ્રેશન ક્લોઝ મંગાવી હતી, પરંતુ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે DMRC ને મંજૂરી આપી 2017માં રિલાયન્સ ઇન્ફ્રાને વ્યાજ સાથે 2,800 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.
દિલ્હી હાઇકોર્ટની સિંગલ જજની બેચે 2018માં રિલાયન્સ ઇન્ફ્રાની તરફેણમાં મધ્યસ્થતાના આદેશને માન્ય રાખ્યો હતો. જો કે, વર્ષ 2019માં દિલ્હી હાઇકોર્ટની ડિવિઝન બેચ દ્વારા આર્બિટ્રેશન એવોર્ડને અલગ રાખવામાં આવ્યો હતો. જે બાદ રિલાયન્સ ઇન્ફ્રાએ સુપ્રીમ કોર્ટમાં હાઇકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો, જેમાં અનિલ અંબાણી ગ્રુપ જીત્યું હતું.