'બની શકે કે તે ભાજપની મદદ કરવા માંગતા હોય...', પ્રશાંત કિશોર પર નીતિશ કુમારે સાધ્યુ નિશાન
મહાગઠબંધન સાથે સરકાર બનાવ્યા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમાર હાલમાં દિલ્લીના પ્રવાસે છે. આ દરમિયાન નીતિશ કુમારે પોતાના જૂના સાથી પ્રશાંત કિશોર પર નિશાન સાધ્યુ છે.
નવી દિલ્લીઃ બિહારમાં એનડીએ સાથેના સંબંધો તોડીને મહાગઠબંધન સાથે સરકાર બનાવ્યા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમાર હાલમાં દિલ્લીના પ્રવાસે છે. નીતિશ કુમારની દિલ્લી મુલાકાતે રાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચાવી દીધી છે અને એવુ માનવામાં આવે છે કે તેઓ 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના દિલ્લી પ્રવાસ દરમિયાન નીતિશ કુમાર અત્યાર સુધી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને NCP પ્રમુખ શરદ પવારથી લઈને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને મળ્યા છે. આ દરમિયાન નીતિશ કુમારે પોતાના જૂના સાથી પ્રશાંત કિશોર પર નિશાન સાધ્યુ છે.

અમે ત્રીજો નહિ, મુખ્ય મોરચો બનવા માંગીએ છીએ
પત્રકારો સાથે વાત કરતાં નીતિશ કુમારે કહ્યુ કે, 2024ની લોકસભા ચૂંટણી માટે અમે ત્રીજો મોરચો નહિ પરંતુ મુખ્ય મોરચો બનવા માગીએ છીએ. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મેડિકલ ચેકઅપ માટે હમણાં જ વિદેશ ગયા છે અને જ્યારે તેઓ પાછા આવશે ત્યારે હું તેમને પણ મળીશ. આ દરમિયાન પત્રકારોએ નીતિશ કુમારને પ્રશાંત કિશોર વિશે પ્રશ્નો પણ પૂછ્યા. જે બાદ તેમણે પીકે પર નિશાન સાધ્યુ.

'પબ્લિસિટીના તો એક્સપર્ટ છે એ'
પ્રશાંત કિશોર વિશે પૂછવામાં આવેલા પ્રશ્નો પર નીતિશ કુમારે કહ્યુ, 'અન્ય રાજકીય પક્ષો સાથે કામ કરવુ એ તેમનો વ્યવસાય છે. તેઓ બિહારમાં જે કંઈ કરવા માગે છે તેની સાથે અમને કે અમારી સરકારને કોઈ લેવાદેવા નથી. 2005 પછી બિહારમાં કેટલુ કામ થયુ, શું તેઓ તેની ABC પણ જાણે છે? તેઓ જે પણ નિવેદન આપી રહ્યા છે... બની શકે કે તેઓ ભાજપ સાથે રહેવા માંગે છે. કદાચ તેઓ તેમને મદદ કરવા માંગે છે. તે પ્રચારમાં નિષ્ણાત છે.

બિહારમાં ઉલટફેર બાદ નીતિશનો પહેલો દિલ્લી પ્રવાસ
નીતિશ કુમારે વધુમાં કહ્યું કે, 'અમે 2005થી બિહારમાં અમારુ કામ કરી રહ્યા છીએ. કેટલાક લોકોને એવી આદત હોય છે કે કામ કંઈ કરવાનુ નહિ, માત્ર બડબડાટ કરતા રહે છે. મહત્વપૂર્ણ છે કે બિહારમાં રાજકીય ઉથલપાથલ બાદ મુખ્યમંત્રી નીતિશની આ પહેલી દિલ્લી મુલાકાત છે. દિલ્લી આવતા પહેલા નીતિશ કુમાર પટનામાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને મળ્યા હતા અને તેઓ દિલ્લીમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા હતા.

'JDUમાંથી પીકેને હાંકી કાઢવામાં આવ્યા હતા'
તમને જણાવી દઈએ કે પ્રશાંત કિશોરને વર્ષ 2020માં જેડીયુમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ચૂંટણી રણનીતિકાર તરીકે કામ કરતા પ્રશાંત કિશોરે પોતાના એક નિવેદનથી રાજકીય હલચલ મચાવી દીધી હતી, જ્યારે તેમણે કહ્યુ હતુ કે હવે તેઓ મુખ્યત્વે બિહાર પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પછી એવી અટકળો ચાલી રહી હતી કે પ્રશાંત કિશોર બિહારમાં પોતાનો રાજકીય પક્ષ સ્થાપશે. જો કે, પ્રશાંત કિશોર તરફથી નવા પક્ષને લઈને કોઈ નિવેદન આવ્યુ નથી. આ દરમિયાન પ્રશાંત કિશોરે બિહારના સીએમ નીતીશ કુમાર અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિશે પણ નિવેદનબાજી કરી હતી.












Click it and Unblock the Notifications
