'દારુણ' સ્થિતિમાં રૂપિયો, સરકાર પર ચારેકોરથી પ્રહાર
નવી દિલ્હી, 28 ઑગસ્ટઃ ડોલર સામે નબળા પડેલા રૂપિયાએ સરકારને ફરી એક વાર વિપક્ષીય દળોના નિશાના પર લાવી દીધી છે. ભાજપના નેતા અને પૂર્વ નાણામંત્રી યશંવત સિન્હાએ કહ્યું છે કે, હવે અર્થવ્યવસ્થાને બચાવવાનો એકમાત્ર રસ્તો બચ્યો છે કે સમય રહેતા ચૂંટણી કરાવી દેવામાં આવે.
યશવંત સિન્હાએ કહ્યું કે, હું ઘણા દિવસથી રાજકારણથી પ્રેરિત થયા વગર એ કહીં રહ્યો છું કે, સરકારે અર્થવ્યવસ્થા પરથી નિયંત્રણ ગુમાવી દીધું છે. હવે એક જ ઉપાય બચ્યો છે કે સરકાર ચૂંટણી કરાવી દે.
સિન્હાએ એ પણ કહ્યું કે, આ હાલત અન્ય કોઇ દેશમાં હોત તો લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હોત અને સરકારને કહ્યું હોત કે તમે જાઓ, હવે ચૂંટણી થશે. તેમણે કહ્યું કે, રૂપિયો આજે 68 પર છે, કાલે ક્યા જશે, અને પરમદિવસ તેની શું સ્થિતિ હશે તે કહેવું મુશ્કેલ છે.
નોંધનીય છે કે, ભારતીય રૂપિયામાં અવમૂલ્યનનું વલણ આજે પણ ચાલુ રહ્યું છે. યુએસ ડોલર સામે આજે રૂપિયાએ નવી ઐતિહાસિક નીચી સપાટી જોઈ લીધી છે. બપોરે 12 વાગ્યાની આસપાસ તે પ્રતિ ડોલર 68.75ની કિંમતનો બોલાતો હતો. ડોલર સામે રૂપિયો આજે 66.90ના ભાવનો ખૂલ્યો હતો.
ડોલર છે સૌથી મોટોઃ નકવી
નબળા પડેલા રૂપિયા પર ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ એકદમ કાવ્યાત્મક અંદાજમાં ટીપ્પણી કરતા ટ્વિટર પર લખ્યું છે કે, ડોલરની ડોલી પર રૂપિયાની રુખસતી પણ કોંગ્રેસ જશ્ન મનાવી રહ્યું છે. તેમણે અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે, બાપ, બડા ના ભૈયા, સબસે બડા હે ડોલર... આ છે ભારત નિર્માણ.
સીપીઆઇ નેતાનો તીખો પ્રહાર
સીપીઆઇ નેતા ગુરુદાસ દાસ ગુપ્તાએ પણ તીખા શબ્દોમાં સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે ત્યાં સુધી કહીં દીધું કે, ચિદમ્બરમ બકવાસ કરી રહ્યાં છે. સીપીઆઇ નેતાએ કહ્યું કે, રૂપિયો નબળો પડી રહ્યો છે અને આગળ જતા પણ નબળો પડશે, પરંતુ સરકાર કંઇ કરી રહી નથી. માત્ર બકવાસ કરી રહી છે. સદનમાં પણ ચિદમ્બરમે બકવાસ કરી છે. હવે કોઇ રોકાણ નહીં થાય અને આખી દુનિયાને જાણ થઇ જશે કે આપણી આર્થિક હાલત કેવી છે. નફો કમાવનારા લોકો ભાવ વધારી દેશે.
શું સોનું ગીરવે મુકશે સરકાર!
આ પહેલા મંગળવારે કથળતી ઇકોનોમીને યોગ્ય રસ્તા પર લાવવા માટે સરકારે સોનું ગીરવે મુકવાના સંકેત આપ્યા હતા. વાણિજ્યમંત્રી આનંદ શર્માએ કહ્યું હતું કે, અમારી પાસે 31000 ટન સોનું છે. જો અમે 500 ટન સોનું ગીરવે મુકીને રકમ એકઠી કરવાનો પ્રયાસ કરીએ તો આ ઘાટાનું હલ કરી શકાય છે. આ એક સૂચનમાત્ર છે, 2009માં પણ એવું જ કરવામાં આવ્યું હતું.
આકાશ જિંદાલ
જો સમયાનુસાર યોગ્ય પગલાં ઉઠાવવામાં નહીં આવે તો દેશ અત્યારસુધીની સૌથી મોટી મંદીમાં પ્રવેશ કરી શકે છે.
સુનીલ શાહ
આ નબળાઇ આવનારા દિવસોમાં ભારે મોંઘવારી લાવી શકે છે.
રાકેશ બંસલ
નરમાઇ હજુ વધુ થઇ શકે છે. હાલના સમયે આઇટી સેક્ટરે પણ નફો રળીને બહાર રહેવાની જરૂર છે.