રાહુલ ગાંધીની યાત્રામાં 'પાકિસ્તાન ઝિંદાબાદના નારા બાદ ભાજપે કોંગ્રેસ નેતાઓ સામે કરાવી FIR
મધ્યપ્રદેશમાં ભારત જોડો યાત્રા દરમિયાન 'પાકિસ્તાન સમર્થક' સૂત્રોચ્ચાર કરવા બદલ ભાજપના નેતાઓએ રવિવારે એફઆઈઆર નોંધાવી છે.
ભોપાલઃ મધ્યપ્રદેશમાં ભારત જોડો યાત્રા દરમિયાન 'પાકિસ્તાન સમર્થક' સૂત્રોચ્ચાર કરવા બદલ ભાજપના નેતાઓએ રવિવારે મધ્ય પ્રદેશ કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પીયૂષ બબેલે અને આઈટી પ્રમુખ અભય તિવારી સામે કેસ દાખલ કર્યો હતો. ભાજપના પ્રદેશ પ્રવક્તા પંકજ ચતુર્વેદી અને રાજ્યના સહ-મીડિયા પ્રભારી નરેન્દ્ર શિવાજી પટેલે કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં કેસ નોંધાવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ અને કોંગ્રેસ પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ ભારત જોડો યાત્રાની આડમાં દેશમાં રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ કરી રહ્યા છે.
ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો કે દેશની શાંતિને ખલેલ પહોંચાડવા માટે યાત્રા દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે. ભાજપની ફરિયાદ પર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કલમ 153B, 504, 505(1), 505(2) હેઠળ સમાજને ભડકાવવા અને શાંતિ ભંગ કરવા બદલ કેસ નોંધ્યો છે.
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલમાં મધ્યપ્રદેશમાં છે. હાલમાં જ યાત્રા સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થયા બાદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વિવાદમાં આવી ગઈ છે. આ વીડિયો જાહેર કરતી વખતે ભાજપે દાવો કર્યો છે કે આ યાત્રામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા, પરંતુ કોંગ્રેસે આ વીડિયોને નકલી ગણાવ્યો હતો. જે બાદ આ વીડિયોને લઈને આરોપ-પ્રત્યારોપનો ખેલ ચાલી રહ્યો છે.
ભાજપે મધ્યપ્રદેશમાં જ્યારે કેસ દાખલ કર્યો ત્યારે રાયપુરમાં કોંગ્રેસના કાયદા વિભાગના વકીલ અંકિત મિશ્રાએ ભાજપના નેતા વિરુદ્ધ FIR નોંધાવી હતી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સાથે સંબંધિત એક વીડિયોમાં કથિત રીતે છેડછાડ કરીને તેને સોશિયલમીડિયામાં શેર કરવા બદલ મધ્યપ્રદેશ ભાજપના મીડિયા પ્રભારી લોકેન્દ્ર પરાશર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
કોંગ્રેસ પાર્ટીએ આ વીડિયોને રાહુલ ગાંધીને બદનામ કરવાનુ ભાજપનુ કાવતરુ ગણાવીને નકારી કાઢ્યુ હતુ. કોંગ્રેસ પાર્ટીના નેતા ધનંજય ઠાકુરે દાવો કર્યો હતો કે ભાજપ નકલી સમાચાર ફેલાવી રહી છે કારણ કે પાર્ટીની ભારત જોડો યાત્રાને મધ્યપ્રદેશમાં પણ સારો એવો જનસમર્થન મળી રહ્યો છે. આનાથી ડરીને ભાજપના નેતાઓ નકલી વીડિયો બનાવીને જૂઠાણુ ફેલાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી. તે 3,570 કિલોમીટરનુ અંતર કાપશે. આ યાત્રા આવતા વર્ષે કાશ્મીરમાં સમાપ્ત થશે. કોંગ્રેસે દાવો કર્યો હતો કે ભારતના ઈતિહાસમાં કોઈપણ ભારતીય રાજકારણીએ કરેલી આ પગપાળા યાત્રા સૌથી લાંબી પદયાત્રા હશે. ભારત જોડો યાત્રાને દેશભરમાં વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓનુ સમર્થન મળી રહ્યુ છે.