સરકાર બનાવવાના તમામ વિકલ્પો માટે ભાજપ રાજી: અમિત શાહ
નવી દિલ્હી, 23 ડિસેમ્બર: આજે જમ્મુ-કાશ્મીર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. મોટાભાગની બેઠકોના પરિણામો જાહેર થઇ ચૂક્યા છે. ઝારખંડમાં ભાજપને બહુમતી મળતી દેખાઇ રહી છે, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં કોઇપણ દળને સંપૂર્ણ બહુમતી મળી નથી રહી. બંને રાજ્યોમાં હકારાત્મક પરિણામો આવતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાને લઇને તમામ વિકલ્પો ખુલ્લા હોવાનું જણાવ્યું હતું.
અમિત શાહે જણાવ્યું કે 'બંને રાજ્યોમાં પક્ષને હકારાત્મક પરિણામો મળ્યા છે. ઝારખંડની જનતાએ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પર પોતાનો વિશ્વાસ મૂક્યો છે, તે વિશ્વાસને અમે તૂટવા નહીં દઇએ, અને ઝારખંડમાં મજબૂત સરકાર બનાવીશું અને વિકાસ અને રચનાત્મક કાર્યો કરવા તરફ આગળ વધીશું.'

શાહે જણાવ્યું કે 'બંને રાજ્યોની જનતાએ જે રીતે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે, તેનાથી તેમણે કેન્દ્ર સરકારના વિકાસના કામો રોકનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. જે લોકો દેશના વિકાસને મુખ્ય પ્રવાહથી હટાવવાની કોશીશ કરી રહ્યા છે તેમને જનતાનો આ જવાબ છે.'
ઝારખંડની સ્થાપના બાદ પહેલી વાર ભાજપને અહીં બહુમતી મળી છે, આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં પણ ભાજપ પહેલી એવી પાર્ટી બની ગઇ છે જેને સૌથી વધારે મતો મળ્યા છે.
આ સાથે અમિત શાહે ઝારખંડમાં અને જમ્મુ-કાશ્મીરમાં અપેક્ષિત પરિણામો આવવા પર બંને રાજ્યોમાં ભાજપના કાર્યકરોને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 6 મહિનાના સકારાત્મક કાર્યકાળને જશ આપ્યો. શાહે કહ્યું કે મોદીના નેતૃત્વ અને કાર્યકરોની મહેનત વગર આ જીત શક્ય ન્હોતી. આ પ્રસંગે શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલથી શુભેચ્છા પણ પાઠવી હતી.












Click it and Unblock the Notifications
