Survey : મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાને બહુમતી, હરિયાણામાં પણ કોંગ્રેસના સૂપડા સાફ
નવી દિલ્હી, 10 ઑગસ્ટ : લોકસભા ચૂંટણીમાં શાનદાર સફળતા બાદ હવે રાજ્યોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદૂ માથે ચઢી પોકારશે તેવા અણસાર મળે છે.
એબીપી ન્યુઝ અને નીલ્સનના સર્વે મુજબ હરિયાણા તથા મહારાષ્ટ્રમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની આંધી ચાલશે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી તથા હરિયાણામાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે. હરિયાણામાં ભાજપ પોતાના બળે સરકાર બનાવવાની પરિસ્થિતિમાં હશે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસને માત્ર 55 તો, હરિયાણામાં માત્ર 6 બેઠકો વડે સંતોષ માનવો પડી શકે છે. મહારાષ્ટ્રમાં ભાજપને 122, શિવસેનાને 82, આરપીઆઈને 3 તથા એસડબ્લ્યુપીને 3 બેઠકો મળી શકે છે. આમ ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 210 જેટલી બેઠકો મળવાની શક્યતા છે.
સર્વે મુજબ મહારાષ્ટ્રમાં 54 ટકા લોકો માટે મોંઘવારી સૌથી મોટો મુદ્દો છે, તો 33 ટકા લોકોની નજરે ભ્રષ્ટાચાર મોટો મુદ્દો છે. જોકે ભાજપ-શિવસેના સરકાર બનતા મુખ્યમંત્રી કોણ હશે, તે અંગે 43 ટકા લોકોએ કહ્યું કે મુખ્યમંત્રી ભાજપનો હોવો જોઇએ, જ્યારે 26 ટકા લોકો શિવસેનાનો સીએમ જોવા માંગે છે. તેવી જ રીતે 30 ટકા લોકોએ આ અંગે કોઈ મત વ્યક્ત નહીં કર્યો.
નોંધનીય છે કે 2009માં યોજાયેલ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 82, એનસીપીને 62, ભાજપને 46, શિવસેનાને 45, એમએનએસને 12 તથા અન્યોને 40 બેઠકો મળી હતી. સર્વે મુજબ મુખ્યમંત્રી પદ માટે સૌથી લોકપ્રિય ઉમેદવાર કોંગ્રેસના પૃથ્વીરાજ ચવ્હાણ જ છે. તેમને 21 ટકા લોકો પસંદ કરે છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે 18 ટકા તથા ભાજપના દેવેન્દ્ર ફડનીસ 16 ટકા લોકોના ટેકા સાથે ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને છે.
એકલા હાથે લડે તો ભાજપ આગળ
સર્વે મુજબ જો મહારાષ્ટ્રમાં તમામ દળો એકલા હાથે ચૂંટણી લડે, તો કોંગ્રેસને 45, એનસીપીને 38, ભાજપને 112, શિવસેનાને 62, એસડબ્લ્યુપીને 1, એમએનએસને 11 તથા અન્યોને 19 બેઠકો મળી શકે. જો ભાજપ-એનસીપી-એમએનએસ વચ્ચે યુતિ થાય, તો આ યુતિને 200, શિવસેનાને 40, કોંગ્રેસને 35, આરપીઆઈ અને અન્યોને 13 બેઠકો મળવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
