પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે પેદા થનાર બાળકોને અપાશે સોનાની વીંટી! જાણો કેટલી હશે કિંમત
17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવાનુ ભારતીય જનતા પાર્ટી(BJP)ના તમિલનાડુ એકમ દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે.
નવી દિલ્લીઃ 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવાનુ ભારતીય જનતા પાર્ટી(BJP)ના તમિલનાડુ એકમ દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે. જેના માટે તમિલનાડુ ભાજપ એકમ નવજાત બાળકોને સોનાની વીંટીઓનુ વિતરણ કરશે. આ ઉપરાંત 720 કિલો માછલીનુ વિતરણ કરવાની અન્ય યોજનાઓ પણ છે. મત્સ્યોદ્યોગ અને માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગને ગુરુવારે જણાવ્યુ હતુ કે, 'અમે ચેન્નાઈમાં સરકારી RSRM હૉસ્પિટલની ઓળખ કરી છે અને નિર્ણય લીધો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર જન્મેલા તમામ બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે.'
મંત્રી એલ મુરુગને આ પહેલની કિંમત અંગેના પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતુ કે, 'તે લગભગ 2 ગ્રામ સોનાની પ્રતિ વીંટી હશે જે લગભગ 5000 છે.' પાર્ટીના સ્થાનિક યુનિટે તે દિવસે સ્પેશિયલ હૉસ્પિટલમાં આશરે 10-15 ડિલિવરીનો અંદાજ લગાવ્યો છે. આ એક ફ્રીબી નથી. તેમણે કહ્યુ કે તે દિવસે જન્મેલા બાળકોનુ સ્વાગત કરીને અમે ફક્ત આપણા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરુણ સિંહ દ્વારા 30 ઓગસ્ટના રોજ મોકલવામાં આવેલા ત્રણ પાનાંના પત્ર મુજબ તમામ રાજ્યોને અગાઉના વર્ષોમાં આયોજિત કાર્યક્રમોની જેમ આ પ્રસંગને 'સેવા પખવાડિયા' તરીકે ચિહ્નિત કરવા માટે કહેવામાં આવ્યુ છે. આ અંતર્ગત પ્રવૃત્તિઓમાં રક્તદાન અને તબીબી તપાસ શિબિરનો સમાવેશ થાય છે. પાર્ટી નેતૃત્વએ કડક શબ્દોમાં કહ્યુ હતુ કે કેક કાપવી નહીં અને હવન પણ કરવો નહિ.
મત્સ્યોદ્યોગ અને માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગને કહ્યુ કે, 'પીએમ મોદી આ વર્ષે 72 વર્ષના થશે. મંત્રીએ કહ્યુ, 'અમે 720 કિલો માછલી આપવા માટે મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના મતવિસ્તારની પસંદગી કરી છે.' વડાપ્રધાન નરેન્દ્ર મોદી મત્સ્ય સંપદા યોજના (PMSY) યોજના માછલીના વપરાશને પ્રોત્સાહન આપે છે અને તેથી અમે તેનુ વિતરણ કરી રહ્યા છીએ. જો કે, અમે જાણીએ છીએ કે પીએમ શાકાહારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ તટીય સફાઈ દિવસ તરીકે પણ ઉજવવામાં આવશે.